VIDEO: અમદાવાદમાં બોપલ આંબલીમાં CM ભૂપેન્દ્ર પટેલ પાણીમાં ઉતર્યા, મેઘરાજાના વિરામ બાદ પણ જળબંબાકાર
અમદાવાદ શહેરમાં પડેલા આફતના મુસળધાર વરસાદને કારણે સમગ્ર શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં AMC તંત્ર પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. શુક્રવારે પણ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
CM ભૂપેન્દ્ર પટેલે પાણીમાં ઉતરી સ્થિતિનો તાગ મેળવ્યો
શહેરમાં સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કાફલા સાથે બોપલ-આંબલી વિસ્તારમાં પહોંચ્યા હતા. ગોઠણસમા પાણીમાં ઉતરીને તેમણે સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી હતી અને લોકોને પડી રહેલી હાલાકીનો તાગ મેળવીને તંત્રને ઝડપી કામગીરી કરવા સૂચના આપી હતી.
પોશ વિસ્તારમાં છાતીસમા પાણી: આર્મીએ બોટથી લોકોને ઉગાર્યા
કર્ણાવતી ક્લબની પાછળ આવેલા કરોડો રૂપિયાના મોંઘાદાટ બંગલાઓમાં ગઈકાલથી છાતીસમા પાણી ભરાયેલા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. આખરે સ્થિતિ કાબૂ બહાર જતાં ભારતીય સેના (Army) ની મદદ લેવામાં આવી હતી. આર્મીની ટીમે બોટ વડે બંગલાઓમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
મકરબા PMAY આવાસમાં રહીશો કેદ, વાહનો તણાયા
મકરબા વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના પરિસરમાં વિશાળ પ્રમાણમાં પાણી ભરાઈ જતાં રહીશો બહાર નીકળી શકતા નથી. વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, "થોડો પણ વરસાદ પડે એટલે અહીં પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ કાયમી નિકાલ કરતું નથી. અમારે જીવના જોખમે બહાર નીકળવું પડે છે."
શહેરના વિવિધ વિસ્તારોની વર્તમાન સ્થિતિ
વેજલપુરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે.
ખોખરા ખાતે મોડી રાત્રે પાણીના ભારે પ્રવાહમાં એક એસ.ટી. બસ ફસાઈ ગઈ હતી.
આનંદનગરમાં દીવાલ ધરાશાયી: આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે 16 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે.
પાંજરાપોળ ચાર રસ્તા પર સહજાનંદ કોલેજ પાસે મોટો ભૂવો પડ્યો છે. પાણી ભરાવાને કારણે AMC એ નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ ન જવા અપીલ કરી છે.
શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

