VIDEO: અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘમહેર, ખેડૂતોમાં હર્ષની લાગણી
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી આજના દિવસે સાચી સાબિત થઈ રહી છે. આજે બપોરે ચાર વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને આ આગાહી મુજબ જ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. લાઠી શહેર તેમજ દામનગર પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે.
કયા તાલુકામાં ખાબક્યો વરસાદ
લીલીયા અને દેવભૂમિ દેવળીયા: નાના કણકોટ અને દેવભૂમિ દેવળીયામાં ધોધમાર વરસાદથી ખેતરો અને વોકળામાં પાણી વહેતા થયા છે.
જાફરાબાદ અને રાજુલા: શહેરના મુખ્ય બજારોમાં પાણી વહી નીકળ્યા છે. જાફરાબાદના બાબરકોટ અને રાજુલાના દાતરડી ગામે પણ સારો વરસાદ નોંધાયો છે.
કુંકાવાવ: ધોધમાર વરસાદને કારણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે, રોડના કામમાં યોગ્ય ઢાળ/પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે થયું છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય ખેતરોમાં પાણી વહેતા થયા છે.
બાબરા: સુખપુર અને ખંભાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.
ધારી અને સાવરકુંડલા: ધારી, કનકપર અને ચલાલામાં સારો વરસાદ થયો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી અને મોટા ભમોદરા જેવા ગામોના ખેતરોમાંથી પાણી વહી નીકળ્યા છે.
બગસરા: ઘંટિયાણ અને માણેકવાડા સહિતના વિસ્તારોમાં લગભગ 1 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.
અન્ય વિસ્તારો: ચિતલ, મોટા માંડીયાળા, તેમજ વડીયાના રામપુર અને તોરી ગામોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે.
લાઠી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, તો સાથે જ દામનગર, ઠાંસા, ધુફણીયા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેરાળા, દુધાળા, મેમદા અને આંબરડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત પડી રહેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
બીજી બાજુ, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને સળંગ ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી તેમજ મોટા ભમોદરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મોટા ભમોદરા ગામે મેલડી માતાના મંદિર પાસે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને ભારે વરસાદના કારણે ખેતરોમાંથી પાણી છલકાઈને વહેવા લાગ્યા હતા. બપોરના સમયે ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક તૂટી પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસી રહેલા આ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદથી પાછોતરા પાકો જેવા કે કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય ખેતી પાકોને અમૂલ્ય ફાયદો થયો છે. લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પ્રશાસન દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા અને જળભરાવ વાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. આ વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને મોટો ફાયદો થશે.

