Ahmedabadના ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો મામલો, માતાને હોસ્પિટલમાંથી રજા અપાતાં પૂછપરછ શરૂ

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોતના મામલે તપાસ તેજ બની છે. પિતા વિમલ બાદ હવે માતા ભાવનાને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ પોલીસે માતાની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ઘટના આકસ્મિક મોત છે કે હત્યા? તે અંગે ભાવનાની પૂછપરછ બાદ મોટો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસ અત્યારે ઘરના સંજોગો અને પરિવારના નિવેદનોના આધારે સત્ય સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવાનો નિર્ણય
ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત મામલે મૃતકના માતા પિતા અને અન્ય પરિવારજનોના ચોક્કસ પ્રકારના નિવેદનને લઇને પોલીસ હજુસુધી શકમંદ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ત્યારે લાઇ ડિટેક્શન ટેસ્ટ પણ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સોમવારે એફએસએલનો રિપોર્ટ આવવાની શક્યતા છે. જેથી કોઇ મહત્વની કડી મળી શકે છે. ચાંદખેડામાં ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ બે બાળકીઓના મોત અને તેમના માતા પિતાને પણ અસર થતા દાખલ થવાનો વારો આવવાના ચકચારી કિસ્સામાં ચાંદખેડા પોલીસ ઘટનાના આઠ દિવસ બાદ પણ મહત્વની કડી સુધી પહોંચી શકી નથી.
એલ્યુમિનિયમ ફોસ્ફાઇટના અંશ મળી આવ્યા
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇટના અંશ મળી આવ્યા હતા. જેમાં હત્યા અને આત્મહત્યાની તરફ પોલીસની તપાસ ચાલી રહી છે. જે અનુસંધાનમાં વિમલ પ્રજાપતિ અને તેની પત્ની ભાવનાની સઘન પુછપરછ કરવામાં આવી હતી. પણ બંનેએ એક જ પેટર્નમાં પોલીસને જવાબ આપતા હવે લાઇ ડિટેક્શન ટેેસ્ટ કરાશે.
બાળકીઓના મોત મામલે એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવશે
સાથેસાથે આજે બંને બાળકીઓના મોત મામલે એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવશે. જેથી પોલીસને તપાસમાં મદદ મળી શકે છે. બીજી તરફ વિમલની શંકાસ્પદ ભૂમિકાને તપાસવા માટે પોલીસે ઘટનાના પાંચ દિવસ પહેલાથી તેના લોકેશન મેળવવા માટે પુછપરછ કરીને આશરે 50થી વધુ સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું.

