અમદાવાદમાં ઘર લેવું પડશે મોઘું, 1 જુલાઈથી નવા પ્રોજેક્ટ્સમાં લાગુ થશે 10 ટકા સુધીનો ભાવ વધારો

અમદાવાદમાં ઘર ખરીદવાની ઈચ્છા રાખતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદ દ્વારા 400થી વધુ બિલ્ડરોની યોજાયેલી બેઠકમાં સભ્યોએ પ્રોપર્ટીના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 1 જુલાઈ 2026થી નવા પ્રોજેક્ટ્સમાં 10 ટકા અને ચાલુ પ્રોજેક્ટ્સમાં સ્ટેજ પ્રમાણે 5 ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવશે. મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે કન્સ્ટ્રક્શન રૉ મટીરિયલ્સના સપ્લાયમાં અનિયમિતતા અને ભાવોમાં 30% થી 50%નો વધારો થયો છે. જે કારણે CREDAI દ્વારા પ્રોપર્ટીના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સ
જે પ્રોજેક્ટ હાલમાં જ શરૂ થયા છે તેમાં સીધો 10% નો ભાવવધારો ઝીંકવામાં આવશે.
પૂર્ણ થવાના આરે હોય તેવા પ્રોજેક્ટ્સ
જે પ્રોજેક્ટ્સનું કામ પૂર્ણાહુતિના આરે છે, તેમાં ખરીદદારો પર 5% જેટલો વધારો આવશે.
મટીરિયલની તંગી અને લેબરની અછત
ક્રેડાઈ અમદાવાદના જણાવ્યા અનુસાર, વૈશ્વિક પરિસ્થિતિને કારણે બિલ્ડિંગ મટીરિયલ્સની સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને પ્રોજેક્ટ કોસ્ટ વધી ગઈ છે. આ સાથે જ, અન્ય રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા પછી પણ પરપ્રાંતીય મજૂરો પરત ન ફરતા લેબરની અછત ઊભી થઈ છે. બાંધકામની ગતિ ધીમી પડતાં ચાલુ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા મુશ્કેલ બન્યા છે, જેના કારણે રેરા (RERA)ના નિયમો મુજબ પઝેશનમાં વિલંબ બદલ દંડ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
30 જૂન સુધી ભાવો સ્થિર રાખવાની મુદત પૂર્ણ
ડેવલપર્સના મતે, અન્ય મોટા શહેરોની સરખામણીએ અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ ઓછા છે અને આ વધારો નિયંત્રણ બહારની પરિસ્થિતિને કારણે છે. અગાઉ સંસ્થાએ 30 જૂન 2026 સુધી ભાવો ન વધારવાની જાહેરાત કરી હતી, જેથી ગ્રાહકો ખરીદી કરી શકે. હવે આ સમયમર્યાદા પૂર્ણ થતાં જુલાઈથી નવો ભાવ વધારો અમલી બનશે. જો યુદ્ધવિરામ થાય તો પણ સપ્લાય ચેઈન સામાન્ય થતાં 9 થી 12 મહિનાનો સમય લાગશે.
સરકારમાં કરવામાં આવી રજૂઆત
બાંધકામ ઉદ્યોગ દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ધરાવે છે અને રાજ્ય સરકારને ટેક્સ પેટે મોટી આવક આપે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્રેડાઈ દ્વારા રેરા એક્ટની ‘ફોર્સ મેજર’ જોગવાઈ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારી આપવા રેરા ઓથોરિટી અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

