Ahmedabad/ સ્નેહાંજલી સોસાયટીમાં બુલડોઝર: છેતરપિંડી કરનાર બિલ્ડર મોજમાં અને રહીશો રસ્તા પર!
અમદાવાદ શહેરમાં વધુ એક વાર ગેરકાયદે બાંધકામ સામે તંત્રની લાલ આંખ જોવા મળી છે, પરંતુ આ કાર્યવાહીમાં વર્ષોથી રહેતા નિર્દોષ પરિવારો રઝળી પડ્યા છે. અમદાવાદની સ્નેહાંજલી સોસાયટીમાં ચાલી રહેલા ડિમોલિશનને પગલે રહીશોમાં ભારે રોષ અને આક્રમક મિજાજ જોવા મળી રહ્યો છે. વર્ષોની મહેનતની કમાણીથી ખરીદેલા ઘર આજે જમીનદોસ્ત થતા જોઈ લોકોની આંખોમાં આંસુ અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
બિલ્ડરની છેતરપિંડીનો ભોગ બન્યા રહીશો
સોસાયટીના રહીશોનો સીધો આક્ષેપ છે કે, બિલ્ડર દ્વારા તેઓને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. દસ્તાવેજો અને કાયદેસરતાના નામે બિલ્ડરે મોટી છેતરપિંડી આચરી હોવાનું હવે સામે આવી રહ્યું છે. રહીશોનું કહેવું છે કે, "અમે તો કાયદેસરના પૈસા ભરીને ઘર લીધા હતા, હવે વર્ષો પછી ઘર ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અમારો શું વાંક?"
જનતાના વેધક સવાલો: પોલીસ અને સરકાર કેમ મૌન?
ડિમોલિશન સાઈટ પર હાજર લોકોએ સરકાર અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શા માટે માત્ર રહીશોના ઘર તોડવામાં આવે છે? ગુનેગાર બિલ્ડર સામે પોલીસ ફરિયાદ કેમ નથી થતી? લોકોને છેતરનાર બિલ્ડર હજુ પણ કેમ જેલના સળિયા પાછળ નથી? જ્યારે બાંધકામ થતું હતું ત્યારે તંત્ર ક્યાં હતું? આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરવિહોણા કરવાનો અધિકાર કોણે આપ્યો?
2006થી ચાલી રહ્યો છે વાયદાઓનો ખેલ
સ્નેહાંજલિ સોસાયટીનું નિર્માણ બિલ્ડર દિલીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, વર્ષ 2006 બાદ રહીશોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમને જાણ થઈ કે આ આખી સોસાયટી ગેરકાયદેસર છે. આ મામલે બિલ્ડર દિલીપ પટેલ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી રહીશોને મનાવવામાં આવી રહ્યા હતા. બિલ્ડરે વારંવાર ખાતરી આપી હતી કે તે તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી સોસાયટીને કાયદેસર કરાવી આપશે, પરંતુ આ તમામ વાયદાઓ ઠાલા સાબિત થયા છે.
પરિસ્થિતિ ત્યારે ગંભીર બની જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની ટીમ ડિમોલિશન માટે જેસીબી સાથે સોસાયટી પર પહોંચી હતી. પોતાનું આજીવનની કમાણીનું ઘર તૂટતું જોઈ રહીશોમાં ભારે રોષ અને ડર ફેલાયો હતો. તંત્રની કાર્યવાહી સામે બિલ્ડરની કોઈ જ મદદ ન મળતાં રહીશો હવે બિલ્ડરના ઘરે પહોંચ્યા છે.

