Ahmedabad/ ખનીજ માફિયાનો આતંક: ચેકિંગ માટે ગયેલી સરકારી ટીમ પર હુમલાનો પ્રયાસ, જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદ શહેરમાં રેતી માફિયાઓ હવે કાયદાથી પણ ડરતા ન હોય તેમ લાગી રહ્યું છે. મકરબા સર્કલ પાસે ખાણ-ખનીજ વિભાગની ટીમ જ્યારે ગેરકાયદે ખનન રોકવા ચેકિંગ કરી રહી હતી, ત્યારે ડમ્પર માલિક અને તેના સાગરીતોએ સરકારી કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના બની છે.
શું હતી સમગ્ર ઘટના?
ખાણ-ખનીજ વિભાગની ટીમને મકરબા સર્કલ પાસે શંકાસ્પદ ડમ્પરો પસાર થતા હોવાની માહિતી મળી હતી. ચેકિંગ દરમિયાન રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા હતા. આ ડમ્પરોમાં 30-30 ટન રેતી ભરેલી હતી, પરંતુ ચાલક પાસે કોઈ રોયલ્ટી પાસ કે માન્ય દસ્તાવેજો નહોતા.
રસ્તા વચ્ચે દાદાગીરી અને ધમકી
જ્યારે સરકારી ટીમ આ ડમ્પરોને જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે અચાનક લાકડીધારી શખ્સોના ટોળાએ રસ્તો રોકી લીધો હતો. ડમ્પર માલિકના કહેવાથી શખ્સોએ રસ્તા વચ્ચે જ ડમ્પરમાંથી રેતી ખાલી કરી નાખી હતી જેથી પુરાવા નાશ કરી શકાય.
ડમ્પર માલિક સુરેશ ભરવાડ પર આરોપ છે કે તેણે ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓને જાહેરમાં ગંદી ગાળો આપી હતી અને 'તમને જાનથી પતાવી દઈશ' તેવી ધમકી આપી હતી.
પોલીસ કાર્યવાહી
સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલાના પ્રયાસ મામલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ડમ્પર માલિક સુરેશ ભરવાડ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

