Ahmedabad/ SG હાઈવે પર ચાલુ AMTS બસમાં આગ, તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો
અમદાવાદ શહેરની લાઈફલાઈન ગણાતા એસ.જી. હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ચાલુ AMTS બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોમાં જીવ બચાવવા નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આખી બસ ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી.
દુર્ઘટનાની વિગતો
એસ.જી. હાઈવે પરથી પસાર થઈ રહેલી AMTS બસમાં અચાનક આગ લાગતા કાળા ધુમાડાના ગોટાથી આકાશ ઘેરાઈ ગયું હતું. સદનસીબે, બસમાં સવાર મુસાફરો સમયસર નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
તંત્ર સામે ગંભીર સવાલો:
આ દુર્ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ની કામગીરી અને મુસાફરોની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. કડકડતી ઠંડીમાં બસમાં આગ લાગવાની ઘટનાએ આશ્ચર્ય જન્માવ્યું છે. સામાન્ય રીતે ઉનાળામાં આગ લાગતી હોય છે, પરંતુ હવે શિયાળામાં પણ બસો સળગી રહી છે. આરોપ છે કે બસમાં આગ લાગ્યા બાદ તેને માત્ર ખસેડી લેવાય છે, પરંતુ ટેકનિકલ ખામી કે કંપનીની બેદરકારી અંગે કોઈ ઊંડી તપાસ કરવામાં આવતી નથી. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં બસ બનાવતી કંપનીઓ સામે AMTS વિભાગ કેમ કોઈ કડક પગલાં નથી લેતું?
આ ઘટના બાદ એએમટીએસ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે?

