Ahmedabad/ વૈષ્ણોદેવી પાસે ત્રિપલ અકસ્માત: એસટી બસ અને 2 કાર વચ્ચે ભીષણ ટક્કર, ફોર્ચ્યુનર ચાલકનું મોત
અમદાવાદના વ્યસ્ત ગણાતા વૈષ્ણવદેવી સર્કલ પાસે આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને બે કાર વચ્ચે થયેલી આ ટક્કરમાં એક ફોર્ચ્યુનર કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ડિવાઇડર કૂદીને બસ કાર સાથે અથડાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, એસટી બસ અચાનક કાબૂ ગુમાવીને ડિવાઇડર કૂદી સામેની બાજુએ આવી ગઈ હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી બે કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણમાં ફોર્ચ્યુનર કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
હાઇવે પર ટ્રાફિકજામ અને પોલીસ તપાસ
અકસ્માતને પગલે એસજી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કયા કારણોસર બસ ચાલકે કાબૂ ગુમાવ્યો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

