VIDEO: સાબરમતીમાં પૂરથી અમદાવાદના 19 ગામો સહિત આસપાસના 133 ગામોમાં એલર્ટ, વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા
ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે સાબરમતી નદી છલોછલ થઈ ગઈ છે. અમદાવાદનું આઇકોનિક રિવરફ્રન્ટ પણ આ પાણીની અસરથી અછૂતું નથી રહ્યું. રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ અને વોકવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે તેને બંધ કરવામાં આવ્યો છે.વાસણા બેરેજમાં પાણીનું લેવલ 131 ફૂટે પહોંચ્યું છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. પાણીની જાવકને નિયંત્રિત કરવા માટે બેરેજના કુલ 30 ગેટમાંથી 27 ગેટ ખોલવામાં આવ્યા છે.
ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું
ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 96,232 ક્યુસેક અને ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. સાબરમતી નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સુભાષ બ્રિજ ખાતે 'વ્હાઇટ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અહીં નદીનું જળસ્તર 43.65 મીટર નોંધાયું છે, જે ખતરનાક સપાટીથી ઉપર છે.
19 ગામો સહિત આસપાસના 133 ગામોમાં એલર્ટ જાહેર
આ સ્થિતિને લઈને વહીવટીતંત્રે અમદાવાદ શહેરના 19 ગામો સહિત આસપાસના 133 ગામોમાં એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને, ધંધુકા અને દસક્રોઈ તાલુકાના 18 ગામો, બાવળાના 9 ગામો, સાણંદના 14 ગામો અને ધોળકાના 74થી વધુ ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

