AI ટ્રેકથી લાઇસન્સ લેવું મુશ્કેલ બન્યું? RTOમાં 80% અરજદારો નાપાસ થતાં ઊહાપોહ, હવે નિયમો બદલાશે!

Gujarat RTO to Ease AI Driving Test Tracks as Failure Rate Hits 80 Percent | લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બને તેમજ વચેટિયાને કોઈ અવકાશ ન રહે તે માટે ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ ટ્રેક તૈયાર કરાયા છે. પરંતુ એઆઈ ટ્રેક અમલમાં આવ્યાં ત્યારથી વિવાદનું કેન્દ્ર બન્યાં છે. ખાસ કરીને ફોર વ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનો રેશિયો 80 ટકાએ પહોંચતા આરટીઓમાં ટેસ્ટ માટે મહિનાઓનું વેઈટિંગ થઈ ગયું છે. ટેસ્ટમાં ફેલ થવાના વધતાં આંકડાના પગલે વાહનવ્યવહાર વિભાગ દ્વારા એઆઈ ટ્રેકમાં સુધારા કરવા માટે કવાયત હાથ ધરી છે.
વાહન-વ્યવહાર મંત્રીએ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓમાં દોડી જવાની ફરજ પડી : ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટની સમીક્ષા કરી
અમદાવાદમાં સુભાષ બ્રિજ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો ત્યારથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને ફોરવ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનું પ્રમાણ 80 ટકાએ પહોંચતા અરજદારોમાં અજંપો પેદા છે. સુભાષ બ્રિજ આરટીઓ કચેરીએ દરરોજ ફોરવ્હીલર માટે 120 જેટલા તેમજ ટુવ્હીલર માટે 160 જેટલાં ઉમેદવારો ડ્રાઈવિંગનો ટેસ્ટ આપે છે. અગાઉ 120 ફોરવ્હીલર ચાલકો પૈકી 55-60 લોકો ટ્રેક ટેસ્ટમાં ફેઈલ થતાં હતાં. જ્યારે છેલ્લાં દોઢ મહિનાથી તે આંકડો 96-100એ પહોંચ્યો છે. માત્ર અમદાવાદ નહીં રાજ્યભરની મોટાભાગની આરટીઓમાં ફેલ થવાનો રેશિયોમાં ધરખમ વધારો થતાં લોકોમાંથી ઊહાપોહ પેદા થવા માંડ્યો છે.
નિયમો બદલાય તેવી શક્યતા
દરમિયાનમાં મંત્રી પ્રવિણ માળીએ અમદાવાદ આરટીઓની અચાનક મુલાકાત લઈ સમગ્ર ટેસ્ટ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાંથી ઉઠતી ફરિયાદોના લઈ સરકારી તંત્ર એઆઈ ટ્રેકમાં સુધારા-વધારા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
શા માટે લોકો નાપાસ થાય છે?
એઆઈ ટ્રેક વિશે વાત કરીએ તો, અગાઉ કેમેરા મારફતે માત્ર વિડિયો રેકોર્ડિંગ કરાતું હતું. જ્યારે હવે સુભાષ બ્રિજ આરટીઓ ખાતે 16 કેમેરા મારફતે ફોરવ્હીલર અને ટુવ્હીલર ટ્રેક ટેસ્ટ લેવાય છે. ટેસ્ટ પહેલાં અરજદારોને સમગ્ર ટેસ્ટ બાબતે જાણ આપતો વિડિયો બતાવવામાં આવે છે. સાથે જ કચેરીમાં તમામ નિયમો દર્શાવતા બોર્ડ- ચાર્ટ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના લોકો તે વિડિયો જોવાના બદલે ત્યાં બેસીને ફોન પર જ વ્યસ્ત રહેતાં હોવાથી પૂરતી માહિતી મેળવી શકતાં નથી. સાથે જ ટ્રેક પર પણ સિગ્નલના નિયમોનો ભંગ કરે છે. જેના લીધે મોટાભાગના વાહનચાલકો પેરેલલ પાર્કિંગ અને ગ્રેડિયન્ટ (ઢાળ)માં ફેલ થાય છે. ખાસ કરીને પાર્કિંગ સમયે ખાલી સાઈડ ડિવાઈડર સાથે અથડાઈ જતી હોવાથી વધુ લોકો ફેલ થાય છે.
યોગ્ય તૈયારી હશે તો સરળતાથી પાસ કરી શકાશે
સંપૂર્ણપણે એઆઈ સંચાલિત ટ્રેકમાં માનવીય હસ્તક્ષેપ ન હોય સમગ્ર સંચાલન એઆઈ કેમેરા માધ્યમથી જ થાય છે. જેને લઈને લોકોને ટેસ્ટ પહેલાં જ સમગ્ર ટેસ્ટ માટે વિડિયો બતાવવામાં આવે છે. સાથે જ વિવિધ ઓનલાઈન માધ્યમો પર પણ આ ટેસ્ટ અંગે માહિતી આપતાં વિડિયો ઉપલબ્ધ છે. જેથી જો વાહનચાલક ટેસ્ટ પહેલાં આ વિડિયો જુએ અને પૂરતી તૈયારી કરે તો સરળતાથી તેઓ ટેસ્ટને પાસ કરી શકે છે.
- બાલમુકુંદ સૂર્યવંશી, આરટીઓ
સુરત અને મોડાસામાં એઆઈ ટ્રેકમાં નાપાસ થતા ઉમેદવારોનું પ્રમાણ ઘટ્યું!
એઆઈ ટ્રેક નવો હોય લોકો તે અંગે પૂરેપૂરા માહિતગાર થયા પહેલાં તેમજ પૂરતી પ્રેક્ટિસ કર્યા વગર જ ટેસ્ટ આપી દે છે. જેના લીધે ફેલ થવાની આંકડો એકાએક વધ્યો છે. જોકે ફેલ થયેલા અરજદારો પૈકી ૩૦ ટકા જેટલાં અરજદારો બીજી વખતમાં ટ્રેક ટેસ્ટ પાસ કરી લે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં એઆઈ ટ્રેક ટેસ્ટ જૂના થયા છે, ત્યાં ટેસ્ટમાં પાસ થતાં લોકોની સંખ્યા વધી છે. લોકો પૂરતી તૈયારી કરીને આવતા હોવાથી સરળતાથી ટેસ્ટ પાસ કરી લે છે. સુરત અને મોડાસા આરટીઓમાં ફેલ થતાં અરજદારોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે.

