Ahmedabad: સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરને મોકલાયો બાળ સંરક્ષણ ગૃહ

Ahmedabad Seventh Day School Case: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના નયન સંતાણી નામના વિદ્યાર્થીની સાથી વિદ્યાર્થી દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને શુક્રવારે (22મી ઓગસ્ટ) પોલીસે ખાનપુર સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કિશોરને રજૂ કરતાં પહેલાં પણ પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ફરતે તહેનાત કરી દેવાયું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.
હવે કિશોરનું કાઉન્સેલિંગ થશે
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં અટકાયત કરાયેલા કિશોરને પોલીસે જ્યારે લોખંડી જાપ્તા સાથે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે સુરક્ષાના કારણોસર માત્ર ફરિયાદીના એડવોકેટ અને કિશોરના એડવોકેટ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં પોલીસને પણ સાદા કપડામાં પ્રવેશ અપાયો હતો. જ્યારે યુનિફોર્મમાં આવેલા પોલીસ જવાનો અને અધિકારીઓને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની બહાર જ ઊભા રાખવામાં આવ્યા હતા.
સીકયુરીટી ગાર્ડ, શિક્ષકો કે અન્ય કોઈ મૃતક વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયુ ન હતું
ક્રાઈમબ્રાંચ દ્વારા અટકાયત કરાયેલા કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો, ત્યારે તેમના નામ, સરનામા સહિતની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને 14 દિવસ કાઉન્સેલીંગ કરવામાં આવશે અને ત્યારબાદ કિશોરની વર્તણૂંક સહિતની બાબતોને લઈ વિગતવાર રિપોર્ટ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
અટકાયત કરવામાં આવેલા વિધાર્થીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. અટકાયત કરવામાં આવેલા કિશોરે સેવન્થ ડે સ્કૂલના જ અન્ય વિદ્યાર્થી નયન સંતાણીની ધક્કા-મુક્કીની બબાલમાં કટરથી હત્યા કરી હતી. આ મામલે ક્રાઈમબ્રાંચ તરફથી સ્કૂલ કેમ્પસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો અને 30 મિનિટ સુધી ઓટલા પર બેસી રહ્યો હતો. સ્કૂલના સીકયુરીટી ગાર્ડ, શિક્ષકો કે કોઈ તેને હોસ્પિટલ લઈ ગયુ ન હતું. આ બનાવ અંગે ક્રાઈમબ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ અનુસંધાનમાં પોલીસે કિશોરની અટકાયત કરી હતી.
આ ઘટનાને લઈ છેલ્લા કેટલાક દિવસોથી સતત તણાવ અને ઘર્ષણના બનાવો વચ્ચે પોલીસે શુક્રવારે સુરક્ષાના કારણોસર બોર્ડ ખાતે પહેલેથી જ લોખંડી જાપ્તો ગોઠવી દીધો હતો. બોર્ડ રૂમમાં સરકારી વકીલ અમિત તિવારી, ફરિયાદી અને કિશોરના એડવોકેટ સિવાય અન્ય કોઈને પણ પ્રવેશ પર કડક પાબંદી ફરમાવી દેવાઈ હતી. બોર્ડના ચેરમેન એમ.વી.પંડ્યાએ કિશોરનું નામ, સરનામું સહિતની કેટલીક માહિતીઓ મેળવી તેને બાદમાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા અંગે હુકમ કર્યો હતો.

