VIDEO: અમદાવાદના ચાંદખેડામાં કાળજું કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના, ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત
અમદાવાદના ચાંદખેડમાંથી કાળજું કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે. ચાંદખેડાના મારૂતિ પ્લાઝા રેસિડન્સીમાં રહેતા પરિવારે ઢોસા બનાવવા માટેનું ખીરું બજારમાંથી મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ ૩ મહિના અને ૪ વર્ષની બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા છે.
એક પછી એક પરિવારના સભ્યો ઝપેટમાં આવ્યા!
મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, 'પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.'

દંપતી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
દંપતી હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સમગ્ર મામલે ફૂડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યું હતું. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દંપતીની દરકાર લેવાની તસ્દી સુદ્ધા તંત્ર ઘ્વારા લેવામાં આવી નથી.
ચાંદખેડામાં ઢોસા ખાવાથી બાળકીઓના મોત મામલે નવા મુદ્દાઓ સામે આવ્યા છે. જેમાં ચાંદખેડાની ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ડેરીના માલિકે દાવો કર્યો છે કે અમારા ખીરુંથી ફૂડ પોઈઝનિંગ નથી થયું.
ડેરીના માલિકનો દાવો ખીરુંથી ફૂડ પોઈઝનિંગ નથી થયું
બીજી તરફ ડેરીના માલિકે એ પણ જણાવ્યું કે ખીરું અન્ય પરિવારોએ પણ ખરીદ્યું હતું, જોકે તેમને કોઈપણ પ્રકારની અસર થઈ નથી. ડેરીના માલિકે બાળકીઓના મોત શંકાસ્પદ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. ડેરીના CCTV પણ સામે આવ્યા છે. જેમાં પરિવારના મોભી વિમલ ખીરું ખરીદતા જોવા મળી રહ્યા છે. ડેરી માલિકે જણાવ્યું કે મારી દુકાન માંથી દરરોજનું 125 કિલોના ખીરુંનું વેચાણ થાય છે.
ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 'આ ગંભીર અસરને કારણે મારી અઢી મહિનાની નાની પૌત્રીનું અને ત્યારબાદ સાડા ત્રણ વર્ષની મોટી પૌત્રીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્યારે મારો દીકરો અને પુત્રવધૂ બંને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. મારી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે.'
પરિવારની પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર
શોકમાં ગરકાવ દાદા ગૌરીશંકર પ્રજાપતિએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર પોતાની વહાલસોયી દીકરીઓ ન ગુમાવે.

