Ahmedabad news: છ મહિના માટે YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ રહેશે બંધ, 2 કિમી ફરીને જવું પડશે

એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને કારણે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રખાશે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ YMCAથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે.
કયો રસ્તો રહેશે બંધ?
સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યાર બાદ ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને એસજી હાઈવે તરફ જવાનું રહેશે. સમગ્ર રસ્તા પર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સરવે કામગીરી કરી છે અને આ પ્રમાણે ટ્રાફિકના જવાનો ઊભા રાખવામાં આવશે. ટ્રાફિક જામ ન થાય તેના માટે બ્રિજની કામગીરી કરતી કંપની પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં જોડાશે. જો કે, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. વાયએમસીએથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 1.2 કિમી છે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રોડ
સરખેજ, સાણંદ તરફથી આવતાં વાહનચાલકોએ વાયએમસીએ ચાર રસ્તાથી ડાબે વળી ભગવાન સર્કલ અને ત્યાંથી જમણે વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યારબાદ ફરી જમણી બાજુએ વળી કર્ણાવતી ક્લબ થઈ એસજી હાઈવે પર નીકળવાનું રહેશે.

