Ahmedabad News: કોમનવેલ્થની યજમાની અને ઓલિમ્પિકની દાવેદારી વચ્ચે KCGમાં આઉટસોર્સને લઈ વિરોધ
એક તરફ અમદાવાદ શહેરને કોમનવેલ્થની યજમાની મળી છે અને બીજી તરફ આ શહેર ઓલિમ્પિકની દાવેદારી કરવા જઈ રહ્યું છે. આ વચ્ચે KCGમાં આઉટસોર્સને લઈ વિરોધ જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય શારીરિક શિક્ષણ અધ્યાપક મંડળ દ્વારા વિરોધ નોંધાવાયો છે. સરકારી કોલેજોમાં રમત-ગમતના અધ્યાપકો દ્વારા આઉટસોર્સિંગ ભરતીના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
તેમનું કહેવું છે કે, સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશનના નિયમિત પદો (PTI) માટે મંજૂર કરાતી નથી. માત્ર વીઝીટીંગ અથવા સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ દ્વારા વ્યવસ્થા કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે. KCG વિભાગના પરિપત્ર મુજબ આઉટસોર્સથી હંગામી નિમણૂંકો કરવાનો પરિપત્ર ચિંતાજનક છે.
KCGના પરિપત્રને તાત્કાલિક રદ્દ કરવા અને સરકારી કોલેજોમાં કાયમી ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવાની માગ, તેમણે કરી છે. ગુજરાત અધ્યાપક મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા પણ સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશનના કાયમી અધ્યાપકના પદો તાત્કાલિક મંજૂર કરી ભરતીની માગ કરાઈ છે.
ભરતભાઈ પટેલે જણાવ્યું કે, અમારી કાયમી ભરતી થવી જોઈએ તેવી અમારી માગ છે. અન્ય વિષયની જેમ ફિઝિકલ એજ્યુકેશનની પણ ભરતી કરવાની માગ છે. કાળી પટ્ટી લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે. 21 હજારના મામૂલી પગારમાં ભરતી કરવામાં આવનાર છે, તો તેનો વિરોધ છે. આ પરિપત્ર પરત ખેંચવામાં આવે. સ્પોર્ટ્સ ટીચર્સની પણ ભરતી થવી જોઈએ. 300 કોલેજમાં સ્પોર્ટ્સ ટીચર્સની જગ્યાઓ ખાલી પડી છે.
ગુજરાત યુનિવર્સિટીના સેકેટરી ધરમસિંહ દેસાઈએ કહ્યું કે, ઓલમ્પિક સહિતના આયોજન કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આઉટસોર્સ ભરતી કરવામાં આવનારી છે. 300 કોલેજ સામે 40 જેટલા જ શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક છે.
ગુજરાત અધ્યાપક મંડળના સેક્રેટરી વિજય સિંહ પધીરિયાએ કહ્યું કે, 11 મહિનામાં જેતે કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતો અધ્પાક બદલી નાંખશે, તો ખેલાડીઓને તકલીફ પડશે. ગ્રાઉન્ડ વગર અને શિક્ષક વગર કેવી રીતે ગુજરાત માંથી ખેલાડીઓ આવશે? સરકાર કમિટી બનાવે છે, પરંતુ તેમાં શારીરિક શિક્ષણ ના કોઈ પ્રાધ્યાપકને સ્થાન મળતું જ નથી.

