Ahmedabad news: ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ

ગુજરાતમાં 'ડબલ એન્જિન' સરકારના કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના જ પક્ષની સરકારના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાયખડ વિસ્તારમાં વર્ષોથી રહેતા હિન્દુ પરિવારોને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ પત્ર બાદ વિપક્ષ અને સામાન્ય જનતામાં ચર્ચા જાગી છે કે, શું ભાજપ સરકારમાં હવે હિન્દુ પરિવારોએ પણ ન્યાય માટે પોતાના જ નેતાઓ પાસે આજીજી કરવી પડશે?
છેલ્લા 100 વર્ષથી વસતા હિન્દુ પરિવારોને કરાય છે હેરાન
ભૂષણ ભટ્ટે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, રાયખડ વિસ્તારની 'પ્રસાદ મિલની ચાલી'માં છેલ્લા 100 વર્ષથી વસતા હિન્દુ પરિવારોને ખાલી કરાવવા માટે કેટલીક વ્યક્તિઓ દ્વારા પોલીસ તંત્રનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ ઉઠે છે કે, જો ભાજપ સરકારમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ હોય, તો પૂર્વ ધારાસભ્યએ આવો ગંભીર આક્ષેપ કેમ કરવો પડ્યો? શું સત્તાના જોરે પોલીસ નિર્દોષ રહીશોને પરેશાન કરી રહી છે?
પૂર્વ ધારાસભ્યના પત્રથી સરકાર અને પોલીસમાં ખળભળાટ
પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખોટું અર્થઘટન કરીને સ્થાનિક રહીશોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભાજપ સરકાર સુશાસન અને ન્યાયના મોટા-મોટા દાવા કરે છે, ત્યારે તેમના જ પૂર્વ પ્રતિનિધિ જ્યારે આવી સુરક્ષા અંગેની રજૂઆત કરે, ત્યારે સરકારની છબી ખરડાય તે સ્વાભાવિક છે.
ભૂષણ ભટ્ટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી આ વિસ્તારમાં કોઈ બળજબરીપૂર્વકનો બંદોબસ્ત ન ગોઠવવા વિનંતી કરી છે. આ બાબત સૂચવે છે કે પોલીસ તંત્ર દ્વારા કોઈ મોટું પગલું ભરવાની તૈયારી હતી, જેને પૂર્વ ધારાસભ્યએ અટકાવવા દરમિયાનગીરી કરવી પડી છે. ભાજપ સરકાર જે હિન્દુ હિતોની રક્ષક હોવાનો દાવો કરે છે, તે જ સરકારના કાર્યકાળમાં પૂર્વ ધારાસભ્યને 'શાંતિ અને સૌહાર્દ' જાળવવા માટે પત્ર લખવો પડે તે શાસન વ્યવસ્થા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.

