Ahmedabad news: માંડલમાં રેતી ભરતા સમયે ભેખડ ધસી પડી, બે યુવાનોના મોત

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં આજે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના વોંકળામાં રેતી ભરવા ગયેલા બે યુવાનો ઉપર અચાનક વિશાળ ભેખડ ધસી પડતા બંનેના ઘટનાસ્થળે જ દટાઈ જવાથી મોત નિપજ્યા હતા.
કેવી રીતે બની ઘટના?
મળતી વિગતો અનુસાર, શેર-રખિયાણા ગામના અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના બે યુવાનો ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા વોંકળામાં રેતી ભરવા માટે ગયા હતા. જ્યારે તેઓ ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી અચાનક જ માટી અને રેતીનો મોટો જથ્થો ધરાશાયી થયો હતો. આ વિશાળ ભેખડ બંને યુવાનો પર પડતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ગામમાં શોકનું મોજું
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ભેખડ નીચે દટાયેલા યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માંડલ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તંત્રની ઉંઘ ક્યારે ઉડશે?
વિરમગામ અને માંડલ પંથકમાં ગેરકાયદેસર રેતી ચોરીનો વ્યવસાય ફુલેફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નદી અને વોંકળાઓમાં ઊંડે સુધી ખોદકામ કરી રેતી કાઢવામાં આવતી હોવાથી ભેખડો ધસી પડવાનું જોખમ વધે છે. રસ્તાઓ પર બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો અને ગેરકાયદે ખનન છતાં ખાણ-ખનીજ વિભાગ કે પોલીસ તંત્ર મૌન સેવી રહ્યા છે. આવા જીવલેણ બનાવો વારંવાર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
તંત્રને વારંવાર ઢંઢોળવા છતા બેદરકારી
બે નિર્દોષ યુવાનોના જીવ ગયા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું તંત્ર હવે જાગશે? શું ગેરકાયદે ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે કે પછી વધુ કોઈ નિર્દોષ જિંદગીનો ભોગ લેવાય તેની રાહ જોવામાં આવશે? અથવા તો ત્યાં રહેતા લોકોએ પરોક્ષ રીતે માફીયાઓ અને તંત્રને પોતાના જીવનરૂપી ભોગ ધરાવતો જ રહેવો પડશે તેવા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યાં છે.

