Ahmedabad: AIMIMને મોટો ફટકો! જમાલપુરના પૂર્વ કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલાએ આપ્યું રાજીનામું

Ahmedabad: ગુજરાત વિધાનસભા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદના રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. શહેરના મુસ્લિમ બહુલ વિસ્તાર ગણાતા જમાલપુરમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને મોટો ઝટકો લાગ્યો છે. જમાલપુર વોર્ડના પૂર્વ કાઉન્સિલર અને વિસ્તારના જાણીતા ચહેરા એવા મુસ્તાક ભાઈ (ખાદીવાલા) એ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે.
પાર્ટીમાં આંતરિક અસંતોષ?
મળતી માહિતી મુજબ, મુસ્તાક ખાદીવાલા લાંબા સમયથી પાર્ટીની કેટલીક આંતરિક બાબતોથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જમાલપુર અને ખાડિયા વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાના રાજીનામાથી AIMIMના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. મુસ્તાક ભાઈએ પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે, જેના કારણે કાર્યકરોમાં પણ ભારે ચર્ચા જાગી છે.
કોંગ્રેસમાં જોડાવાની અટકળો
રાજીનામું આપ્યા બાદ હવે મુસ્તાક ખાદીવાલા ટૂંક સમયમાં વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડશે તેવી પ્રબળ શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે તેમની વાતચીત અંતિમ તબક્કામાં છે. જો મુસ્તાક ખાદીવાલા કોંગ્રેસમાં જોડાય છે, તો જમાલપુર વોર્ડમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે, જ્યારે AIMIMને પોતાના ગઢ સમાન વિસ્તારમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

