અમદાવાદ ACBનો મોટો ધડાકો: શિક્ષણ સંસ્થામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 3 લાખની લાંચ લેતા વૉચમેન ઝડપાયો, ટ્રસ્ટી ફરાર
Ahmedabad news: શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને પંકજ વિદ્યાલયના કેમ્પસમાં રૂ. 3 લાખની રોકડ સાથે એક વર્ગ-4ના કર્મચારી (વૉચમેન)ને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ લાંચના કેસમાં મુખ્ય આરોપી અને એમ.એમ. પટેલ કૉલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીન સામેલ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ફરિયાદીની પેન્શન અને જીપીએફ (GPF)ની ફાઈલ પર સહી કરવા અને પ્રક્રિયા આગળ વધારવા માટે આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. નિવૃત્તિ બાદના હકદાર પૈસા મેળવવા માટે પણ કર્મચારીઓ પાસે લાંચ માંગવામાં આવતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
5 લાખની ડીલ અને એસીબીની ટ્રેપ
એસીબીની તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ કુલ રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. અગાઉ જ રૂ. 2 લાખ લેવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. બાકી રહેલા રૂ. 3 લાખની લેતી-દેતી આજે પંકજ વિદ્યાલય કેમ્પસમાં ટ્રસ્ટીની ઓફિસ બહાર થવાની હતી. એસીબીએ અગાઉથી જ ગોઠવેલા છટકા મુજબ, જેવો વૉચમેને ટ્રસ્ટી વતી રૂ. 3 લાખ સ્વીકાર્યા, કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો.
મુખ્ય આરોપી ટ્રસ્ટી પલાયન
અમદાવાદ એસીબીની ટ્રેપ દરમિયાન વૉચમેન ઝડપાઈ ગયો હતો, પરંતુ જેની ઓફિસ બહાર આ વ્યવહાર થઈ રહ્યો હતો તે મુખ્ય આરોપી અને એમ.એમ. પટેલ કૉલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીન પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયા છે. હાલ એસીબીએ રૂ. 3 લાખની રોકડ જપ્ત કરી છે અને ફરાર ટ્રસ્ટીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. જો કે, એસીબીના છટકાને લીધે શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

