Ahmedabadના ધંધુકામાં યુવકની હત્યા બાદ તંત્ર એક્શનમાં, તપાસ માટે 4 ઉચ્ચ અધિકારીઓની SITની કરી રચના

ધંધુકામાં થયેલી ભરવાડ યુવકની હત્યાના મામલે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ હવે સંપૂર્ણ એક્શન મોડમાં છે. પીડિત પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા માટે 4 ઉચ્ચ અધિકારીઓની ખાસ SIT ટીમની રચના કરવામાં આવી છે, જેમાં DySP કક્ષાના અધિકારીનો પણ સમાવેશ થાય છે.
તપાસમાં કોઈ કચાસ ન રહી જાય તે હેતુથી આ ટીમ સમગ્ર પ્રક્રિયાનું દૈનિક મોનિટરિંગ કરશે અને દર અઠવાડિયે ઉચ્ચ અધિકારીઓને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપશે. કેસની ગંભીરતા જોતા આખી ટીમ રાત-દિવસ કાર્યરત રહેશે, જેથી તમામ કડીઓ જોડીને ગુનેગારોને કડક સજા અપાવી શકાય અને ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય.
125 જેટલા લોકો સામે ગુનો દાખલ
હત્યાની ઘટનાથી ઉશ્કેરાઈને તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે 125 જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, પીડિત પરિવારની માંગને પગલે અને સમગ્ર ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેથી દોષિતો સામે દાખલો બેસાડી શકાય તેવી કડક કાર્યવાહી કરી શકાય.
શું હતો બનાવ?
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની હતી. રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદાં-જુદાં સ્થળોએ આગ ચંપી કરી છે. બનાવને લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે. બનાવને પગલે શહેરમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે.
અંગત અદાવતને પગલે એક ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા
અમદાવાદના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકી કરણપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૃ કર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનોમાં આગચંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે.

