VIDEO: કોમી એકતાના પ્રતીક શહીદ વસંત-રજબની ૮૦મી પુણ્યતિથિએ અમદાવાદમાં ભાવભરી શ્રદ્ધાંજલિ
ગુજરાતના ઇતિહાસમાં જ્યારે પણ કોમી એકતા અને અતૂટ દોસ્તીની વાત આવે છે, ત્યારે 'વસંત-રજબ'નું નામ સૌથી ઉપર લેવાય છે. આજે હિન્દુ-મુસ્લિમ એકતાના અનન્ય પ્રતીક એવા વસંત રાવ હેજિસ્તે અને રજબ અલી લાખાણીની 80મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં ભક્તિભાવ અને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજર રહીને શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.જ્યારે દોસ્તી અને માનવતા ખાતર બંનેએ જીવ આપી દીધા..વર્ષ 1946માં અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ફાટી નીકળેલા ભયાનક કોમી રમખાણો વખતે વસંત અને રજબે પોતાની જાનની પરવા કર્યા વગર લોકોને બચાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. હિંસક બનેલા ટોળા સામે છાતી ઠોકીને ઉભા રહી ગયેલા આ બંને મિત્રોએ લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. અંતે, કોમી સૌહાર્દ જાળવવાના આ પ્રયાસમાં બંને મિત્રો રમખાણ કરનારાઓ હાથે શહીદ થયા હતા, પણ તેમણે દોસ્તી અને માનવતા મરવા ન દીધી.

