Ahmedabadના શાહપુરમાં 3 જર્જરિત મકાનો ધરાશાયી, AMC સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આપ્યો આ આદેશ

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરના લાલુભાઈની પોળમાં મંગળવારે(11 ઓગસ્ટ) એક મોટો અકસ્માત ટળ્યો હતો. પોળની અંદર આવેલા મંગળ પારેખના ખાંચામાં અત્યંત જૂના અને જર્જરિત 3 મકાનો અચાનક ધરાશાયી થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ નથી.
તંત્ર સ્થળ પર દોડી ગયું
બનાવની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના પશ્ચિમ ઝોનના અધિકારીઓ અને ઈજનેરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પણ લોકોની સુરક્ષા માટે સ્થળ પર ઘેરાબંધી કરી હતી.
જોખમી બાંધકામ તાત્કાલિક દૂર કરવા આદેશ
ઘટનાસ્થળની સમીક્ષા કર્યા બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ AMCના કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે ધરાશાયી થયેલાં મકાનોનો જે હિસ્સો હજુ પણ જોખમી હાલતમાં ઉભો છે. તેને તાત્કાલિક અને સલામત રીતે પાડી દેવામાં આવે. સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય ઝોન અને કોટ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન ધરાશાયી થવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, જેને પગલે તંત્ર દ્વારા આવા મકાનોને ખાલી કરાવવા અને જોખમી ભાગો ઉતારી લેવા બાબતે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊેભી થઈ છે.

