Gujaratમાં માર્ગ અકસ્માતમાં 5 વર્ષમાં 36,626 લોકોએ જીવ ગુમાવ્યા, સીટબેલ્ટ અને હેલ્મેટ ન પહેરવાથી સૌથી વધુ મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતોના કેસ ચોંકાવનારી રીતે દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એવામાં સરકાર તરફથી આપવામાં આવેલા માર્ગ અકસ્માતના આ અંકડા સૌ કોઈને ચોંકાવી દેશે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં પાંચ વર્ષમાં 36,626 વ્યક્તિએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. જેમાંથી 10801 લોકોએ હેલ્મેટ અને 5177 લોકોએ કારમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોવાનું સામે આવ્યું છે.
સીટબેલ્ટ અને હેલ્મેટ ન પહેરવાથી થયા સૌથી વધુ મોત
ગુજરાતમાં પાંચ વર્ષમાં 80150 માર્ગ અકસ્માત થયા છે અને તેમાં 36626 વ્યક્તિના મૃત્યુ થયા છે. માર્ગ અકસ્માત બાદ મૃત્યુ માટે હેલ્મેટ, સીટ બેલ્ટ ન પહેરવું તે મુખ્ય જવાબદાર પરિબળ સામે આવ્યું છે. હેલ્મેટ-સીટ બેલ્ટ નહીં પહેરવાથી પાંચ વર્ષમાં 15978 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઓવરસ્પીડથી પણ માર્ગ અકસ્માતના કેસ વધી રહ્યા છે.
ઓવરસ્પીડે 2 હજારથી વધુ લોકોનો જીવ લીધો
ઓવરસ્પીડથી 4685 અકસ્માત થયા છે અને તેમાં 2342 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત પાંચ વર્ષમાં માર્ગ અકસ્માત થયો ત્યારે 4915 લોકો પાસે લાયસન્સ જ નહીં હોવાનું સામે આવ્યું છે. ઓવરલોડથી પાંચ વર્ષમાં 2342 વ્યક્તિના મૃત્યુ થયા છે. માર્ગ અકસ્માતના આ તમામ આંકડાં 2018 થી 2022 સુધીના છે. ત્યારબાદ સરકાર દ્વારા માર્ગ અકસ્માત કે એનસીઆરબીના આંકડા જાહેર કરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી.

