75 લાખ ગરીબોને અનાજ નહીં મળે: 17 હજાર રેશનિંગ દુકાનદારોની 'અનિશ્ચિત' મુદતની હડતાળ શરૂ
ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ તેમની પડતર માંગણીઓ સરકાર દ્વારા ન સ્વીકારાતા આખરે આક્રમક વલણ અપનાવ્યું છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના નિર્ણય મુજબ, આજે 1 નવેમ્બરથી રાજ્યભરના 17 હજાર જેટલા રેશનિંગ દુકાનદારો અનિશ્ચિત સમય માટે હડતાળ પર ઉતરી ગયા છે.
આ હડતાળના પગલે રાજ્યભરમાં સસ્તા અનાજ વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેશે, એટલું જ નહીં, સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા પણ અટકાવી દેવામાં આવી છે. આ હડતાળના કારણે રાજ્યના અંદાજે 75 લાખ જેટલા રેશનિંગ કાર્ડધારકોને અનાજ વિના રહેવાનો વારો આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં વ્યાપક અસર
હડતાળની સૌથી મોટી અસર મહેસાણા જિલ્લામાં જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં અંદાજે 12 લાખ જેટલા સરકારી અનાજ મેળવતા લાભાર્થીઓ માટે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જિલ્લાના 2.96 લાખ કાર્ડધારક પરિવારોને આનાથી સીધી અસર થઈ શકે છે.
રાજકોટના 700 દુકાનદારો પણ જોડાયા:
રાજકોટ સસ્તા અનાજ વેપારી એસોસિએશનના પ્રમુખ માવજીભાઈ રાખસીયાના જણાવ્યા મુજબ, રાજકોટના 700 સહિત રાજ્યભરના 17,000 દુકાનદારો આ હડતાળમાં જોડાયા છે. સસ્તા અનાજના દુકાનદારોએ તેમની મુખ્ય 20 પડતર માંગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- કમિશનમાં તાત્કાલિક વધારો કરવો.
- બાયોમેટ્રિક વેરિફિકેશન (e-KYC) અંગેના પરિપત્રને રદ કરવો.
- સમયસર કમિશનની ચુકવણી કરવામાં આવે.
- વિતરણ જથ્થામાં પડતી ઘટને દૂર કરવી.
- તકેદારી સમિતિના આદેશો રદ કરવામાં આવે.
- ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો.
દુકાનદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર તરફથી તેમની માંગણીઓ અંગે કોઈ યોગ્ય અને સંતોષકારક પ્રતિસાદ નહીં મળે, ત્યાં સુધી હડતાળ પાછી ખેંચવામાં આવશે નહીં.

