VIDEO: ANDARNI VAAT / કટરામાં અટવાયેલા હજારો ભક્તો માટે શ્રાઈન બોર્ડનું મફત લંગર!
જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પવિત્ર યાત્રાધામ માતા વૈષ્ણોદેવી વિસ્તારમાં થઈ રહેલા અવિરત વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તીર્થયાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. પહાડી માર્ગો પર ભૂસ્ખલન અને પથ્થરો પડવાના જોખમને પગલે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. યાત્રા અચાનક બંધ થવાના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દર્શનાર્થે આવેલા હજારોની સંખ્યામાં ભક્તો કટરા બેઝ કેમ્પ અને આસપાસના વિસ્તારોમાં અટવાઈ પડ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં અટવાયેલા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. શ્રાઈન બોર્ડ દ્વારા કટરા ખાતે તમામ અટવાયેલા શ્રદ્ધાળુઓ માટે ચોવીસે કલાક મફત ભોજનઅને વિશ્રામની ભવ્ય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે..
શ્રાઈન બોર્ડની આ સેવાકીય પહેલ હેઠળ શ્રદ્ધાળુઓને પૌષ્ટિક ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય જીવનજરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. ભોજનશાળાઓ અને નોંધણી કેન્દ્રો પર ભક્તો માટે ખાસ બેઠક વ્યવસ્થા અને રહેવાની અનુકૂળતા કરવામાં આવી છે, જેથી યાત્રિકોને આ પ્રતિકૂળ હવામાનમાં ભટકવું ન પડે. પ્રશાસનની આ સરાહનીય વ્યવસ્થાથી અટવાયેલા ભક્તોને મોટી રાહત મળી છે અને તેઓ ભોજન તથા આશ્રય મેળવીને વહીવટી તંત્રનો આભાર માની રહ્યા છે. શ્રાઈન બોર્ડ અને સ્થાનિક પ્રશાસન દ્વારા હવામાનની સ્થિતિ પર સાતત્યપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે, અને હવામાન સાફ થતાં જ તથા માર્ગો સંપૂર્ણપણે સલામત જણાતાં યાત્રા પુન શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી તમામ શ્રદ્ધાળુઓને કટરા ખાતે જ સુરક્ષિત રહેવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

