VIDEO: મુરાદાબાદમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ!
મુરાદાબાદમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ
ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ!
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આગામી ગણેશોત્સવને લઈને વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવા માટે સ્થાનિક શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ એક અનોખી અને સરાહનીય પહેલ કરી છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ પોતાના હાથે ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ તૈયાર કરી છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગોના બદલે શુદ્ધ માટી, છાણ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની આ સર્જનાત્મક પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને થતાં નુકસાનને અટકાવવાનો છે. સામાન્ય રીતે પીઓપીની મૂર્તિઓના વિસર્જનથી નદીઓ અને તળાવોના પાણી પ્રદૂષિત થાય છે, જેનાથી જળચર જીવો પર ગંભીર અસર પડે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે, જેનાથી જળ પ્રદૂષણ થતું નથી. આ મૂર્તિઓમાં છોડના બીજ પણ રોપવામાં આવ્યા છે, જેથી વિસર્જન બાદ તેમાંથી નવો છોડ ઊગી નીકળે.
માટી અને કુદરતી રંગોથી તૈયાર થઈ ગણેશજીની મૂર્તિઓ!
વિસર્જન સાથે રોપાશે વૃક્ષ, મૂર્તિઓમાં બીજ રોપી વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ!
આ અનોખી પ્રવૃત્તિમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું કે તહેવારોની ઉજવણી સાથે પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. સ્થાનિક રહીશો અને શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો છે. ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બનાવવાની સાથે વિદ્યાર્થીઓ લોકોને પણ પર્યાવરણલક્ષી અને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવા અને પ્રદૂષણમુક્ત ઉજવણી કરવા અપીલ કરી રહ્યા છે. મુરાદાબાદથી સામે આવેલા દ્રશ્યોમાં વિદ્યાર્થીઓ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક મૂર્તિઓને આખરી ઓપ આપતા નજરે પડે છે. તહેવારની ઉજવણી સાથે પ્રકૃતિની જાળવણીનો આ સુંદર સમન્વય સમગ્ર ઉત્તર પ્રદેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મુરાદાબાદના વિદ્યાર્થીઓનો આ સરાહનીય પ્રયાસ સમાજને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અને હરિયાળી ઉજવણી તરફ દોરી જવામાં મોટો માર્ગદર્શક સાબિત થશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

