VIDEO: સંગમનગરી પ્રયાગરાજમાં પૂરથી હાહાકાર, ગંગા-યમુનાના રૌદ્ર રૂપથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન!
સંગમનગરી પ્રયાગરાજમાં પૂરથી હાહાકાર
ગંગા-યમુનાના રૌદ્ર રૂપથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન!
પ્રયાગરાજમાં તારાજી: ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી!
ઉત્તર પ્રદેશના પવિત્ર સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને પવિત્ર નદીઓના જળસ્તરમાં ભયાનક વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને અવિરત પાણી છોડાતા બંને નદીઓ પોતાના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. નદીઓના વધતા જળપ્રવાહને કારણે પ્રયાગરાજના તમામ નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે સમગ્ર શહેરમાં પૂર જેવી કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. બંને નદીઓના ત્રિવેણી સંગમ નજીક આવેલા પ્રસિદ્ધ લેટે હુએ હનુમાનજી મંદિરમાં પૂરના પાણી ઘૂસી જતાં ભગવાન હનુમાનજીની મૂર્તિ જળમગ્ન થઈ ગઈ છે. ધાર્મિક માન્યતા મુજબ ગંગા મૈયા હનુમાનજીના ચરણ પખાડવા અને સ્નાન કરાવવા માટે પધારે છે, પરંતુ આ ભયાનક જળસ્તરને કારણે ભક્તો માટે મંદિરના કપાટ અને પ્રવેશ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે.
NDRF અને SDRF દ્વારા કરાયું રેસ્ક્યૂ ઓપરેશન તેજ!
બેકાબૂ વહેણથી પ્રયાગરાજનું જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત!
પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જવાથી દારાહગંજ, બઘારા, સલોરી અને અલ્લાહપુર જેવા નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સેંકડો લોકોને પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ખસવાની મજબૂરી ઊભી થઈ છે. વહીવટીતંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે, જે બોટ મારફતે ફસાયેલા સ્થાનિકોને બચાવીને પૂર રાહત શિબિરોમાં પહોંચાડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે, જેથી વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નદી કિનારે જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે અને પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. પ્રયાગરાજ વાસીઓ અને સ્થાનિક વેપારીઓ હવે જળસ્તર ઘટે અને પરિસ્થિતિ સામાન્ય થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

