VIDEO: હાજીપુરમાં પૂરનો પ્રકોપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લીધી મુલાકાત!
હાજીપુરમાં પૂરનો પ્રકોપ
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લીધી મુલાકાત!
કેન્દ્ર અને રાજ્ય સરકાર પૂરગ્રસ્તોની મદદ માટે કટિબદ્ધ!
બિહારના હાજીપુર જિલ્લામાં કુદરતનો કોપ વરસતાં પૂરની સ્થિતિ અત્યંત વિકટ બની છે. ગંગા અને ગંડક નદીઓના ઉફાનને કારણે હજારો હેક્ટર જમીન જળમગ્ન થઈ ગઈ છે, જેનાથી સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ હાજીપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી અને પીડિતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. બંને નેતાઓએ બોટ અને હેલિકોપ્ટર મારફતે પૂરથી પ્રભાવિત ગામો અને પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર પીડિતોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં બિહારની જનતા સાથે ખડતલ રીતે ઉભી છે. પૂરના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવશે અને પીડિત ખેડૂતોને યોગ્ય વળતર તથા રાહત સામગ્રી ઝડપથી પહોંચાડવામાં આવશે.
પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સીએમએ ખેડૂતોને વળતરની આપી ખાતરી!
પૂર પ્રભાવિત વિસ્તારોમાં તબીબી અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા આદેશ!
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત છાવણીઓ, પીવાના પાણી અને તબીબી સુવિધાઓની કોઈ કમી આવવા દેવામાં નહીં આવે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પૂર્ણ ઝડપે ચાલી રહી છે. હાજીપુરથી સામે આવેલા દ્રશ્યોમાં ચારેય તરફ પાણી જ પાણી અને પૂર પીડિતોની મજબૂરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સરકાર દ્વારા ફૂડ પેકેટો અને આવશ્યક વસ્તુઓનું વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિને વહેલી તકે સામાન્ય બનાવવા માટે તમામ શક્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેથી પીડિતોને ઝડપથી રાહત મળી શકે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

