VIDEO: પટનાના મનેરમાં પૂરનો પ્રકોપ દિયારાની છ પંચાયતો જળમગ્ન, હજારો નાગરિકો બેઘર!
પટનાના મનેરમાં પૂરનો પ્રકોપ
દિયારાની છ પંચાયતો જળમગ્ન, હજારો નાગરિકો બેઘર!
બિહારની રાજધાની પટના નજીક આવેલા મનેર વિસ્તારના દિયારા ક્ષેત્રમાં ગંગા અને સોણ નદીના ઉફાનથી પૂરની ભયાનક આફત આવી પડી છે. નદીઓના વધતા જળસ્તરના કારણે મનેર પંથકની આશરે છ જેટલી પંચાયતો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પૂરના પ્રચંડ પ્રહારથી દિયારાના દસથી વધુ ગામડાંઓ જળમગ્ન બનતાં હજારો નાગરિકો જળસંકટના ઘેરાવામાં આવી ગયા છે અને ચારેય તરફ ભયનો માહોલ વ્યાપી ગયો છે.દિયારા ક્ષેત્રના મોટાભાગના વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સ્થાનિકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘરો, ખેતરો અને પ્રાથમિક શાળાઓ પાણીમાં ડૂબી જતાં ગ્રામજનો પોતાના કિંમતી સામાન અને પશુધનને સાથે રાખીને ઊંચા ટેકરાઓ તથા બાંધ પર આશ્રય લેવા મજબૂર બન્યા છે. વાહનવ્યવહારના તમામ માર્ગો બંધ થઈ જતાં પંચાયત વિસ્તારોનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે માત્ર નાવડા જ અવરજવરનું એકમાત્ર સાધન બન્યા છે.
દિયારા ક્ષેત્રમાં જળસંકટ
ગામડાં બન્યા ટાપુ, બાંધ પર આશ્રય લેવા મજબૂર બન્યા ગ્રામજનો!
પૂરગ્રસ્ત વિસ્તારોમાં હોડીઓ મારફતે રેસ્ક્યૂ કામગીરી તેજ!
પરિસ્થિતિની સમીક્ષા કરતાં મનેરના સરકલ ઓફિસર પૂજા કુમારીએ જણાવ્યું કે પ્રશાસન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને સ્થાનિક નાવિકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. બીજી તરફ, આરજેડીના સાંસદ મિસા ભારતીએ પૂરગ્રસ્ત દિયારા વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તંત્ર તરફથી પૂરતી રાહત સામગ્રી, પીવાનું શુદ્ધ પાણી અને અનાજ હજુ સુધી પીડિતો સુધી પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલ મનેરના દિયારામાં સ્થિતિ અત્યંત કટોકટીભરી બનેલી છે. હજારથી વધુ કુટુંબો પોતાના ઘરબાર છોડીને ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવી રહ્યા છે. પ્રશાસન દ્વારા સરકારી નાવડાઓની સંખ્યા વધારીને ફસાયેલા ગ્રામજનોને સલામત સ્થળે પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ નદીઓના સતત વધતા જળસ્તરને લીધે રાહત અને બચાવ કામગીરીમાં ભારે પડકારો સામનો કરવો પડી રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

