VIDEO: ANDAR NI VAAT / આઝમ ખાનની ભવ્ય ઝોહર યુનિવર્સિટીના 38 બિલ્ડિંગ પર બુલ્ડોઝર કાર્યવાહીનું મોટું સંકટ
ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી અને આઝમ ખાનનો શિક્ષણ માટેનો ડ્રિમ પ્રોજેક્ટ મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સામે પ્રશાસન દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની કાર્યવાહીની તૈયારી કરી લેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગનો આરોપ છે કે તપાસમાં ખુલાસો થયો છે કે યુનિવર્સિટી કેમ્પસની અંદર આવેલી 38 જેટલી નાની-મોટી આધુનિક ઇમારતોનો સત્તાવાર નકશો સક્ષમ સરકારી સત્તાધિકારી પાસેથી પાસ કરાવવામાં આવ્યો નથી. પ્રશાસનનો સ્પષ્ટ આરોપ છે કે અગાઉની સમાજવાદી પાર્ટીની સરકારના શાસનકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને, કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી કે બિલ્ડિંગ બાયલોઝના નિયમોનું પાલન કર્યા વિના જ આ તમામ ઇમારતો ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવી હતી. આ નિયમબાહ્ય બાંધકામોને લઈને પ્રશાસન દ્વારા જૌહર ટ્રસ્ટને 15 દિવસની આખરી કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જો નિયત સમયમર્યાદામાં કાયદેસરના કાગળો રજૂ કરવામાં નહીં આવે અથવા ગેરકાયદેસર બાંધકામ જાતે હટાવવામાં નહીં આવે, તો વહીવટી તંત્ર બુલડોઝર ફેરવીને આ તમામ ૩૮ બિલ્ડિંગોને જમીનદોસ્ત કરી દેશે. એટલું જ નહીં, આ ડિમોલિશનની કાર્યવાહીમાં થનારો તમામ સરકારી ખર્ચ પણ દંડ સ્વરૂપે આઝમ ખાન અને તેમના ટ્રસ્ટ પાસેથી જ વસૂલવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે. મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી એક ભવ્ય યુનિવર્સિટી છે. તેને લઈને સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે.
બીજી તરફ, વરિષ્ઠ નેતા આઝમ ખાન, તેમના વકીલો અને સમાજવાદી પાર્ટીના સમર્થકો દ્વારા સરકારના આ આકરા વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ અને આઝમ ખાનના પક્ષ તરફથી એવો જોરદાર દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન શાસક ભાજપ સરકાર રાજકીય કિન્નાખોરી અને દ્વેષપૂર્ણ ભાવના રાખીને આ સમગ્ર એકતરફી કાર્યવાહી કરી રહી છે. તેમનું કહેવું છે કે આઝમ ખાનને રાજકીય રીતે સંપૂર્ણપણે ખતમ કરવાના ઈરાદાથી જ વારંવાર આવી નોટિસો આપીને હેરાન કરવામાં આવી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરની ભવ્ય શૈક્ષણિક સંસ્થાને બુલડોઝરથી તોડી પાડીને સરકાર હજારો નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહી છે. ટ્રસ્ટના સભ્યોએ દાવો કર્યો છે કે યુનિવર્સિટીનું નિર્માણ નિયમબદ્ધ રીતે થયું છે અને સરકાર જાણીજોઈને ટેકનિકલ ખામીઓ શોધીને સંસ્થાને બરબાદ કરવા માંગે છે. જો નક્સો પાસ ન થયો હોય તો તેઓ બાંધકામ ચેક કરીને પણ નકસો પાસ કરી શકે છે. આ કટોકટીની સ્થિતિ વચ્ચે જૌહર ટ્રસ્ટ પ્રશાસનની આ નોટિસ અને તોડી પાડવાના આદેશ વિરુદ્ધ વડી અદાલતના દ્વાર ખટખટાવીને તાત્કાલિક સ્ટે ઓર્ડર મેળવવાની કાનૂની તૈયારીઓ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

