શું ખરેખર Vikrant Massey હવે ફિલ્મ્સમાં જોવા નહીં મળે? એક્ટરે રિટાયરમેન્ટની ચર્ચાઓ પર તોડ્યું મૌન

વિક્રાંત મેસીની ડિસેમ્બર 2024ની પોસ્ટ પછી ચાહકોને લાગ્યું હતું કે વિક્રાંત નિવૃત્તિ તરફ ઈશારો કરી રહ્યા છે. હવે આ મામલે વિક્રાંતે મોટો ખુલાસો કર્યો છે.
વિક્રાંત મેસીએ તાજેતરમાં તેના રિટાયરમેન્ટ અંગે ચાલી રહેલી અટકળો પર વાત કરી છે. અભિનેતાએ વર્ષ 2024માં 'ટેમ્પરરી રિટાયરમેન્ટ' અંગે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પછી ચાહકોમાં ખળભળાટ મચી ગયો હતો. તેની એક પોસ્ટ પરથી સૌને લાગ્યું કે એક્ટર અભિનય છોડી રહ્યો છે. હવે તેણે સ્પષ્ટતા કરી છે કે તેની એ પોસ્ટનો અસલ અર્થ શું હતો.
વિક્રાંત મેસીએ એક્ટિંગમાંથી લીધો હતો બ્રેક
અભિનેતા વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું કે તેની ડિસેમ્બર 2024ની પોસ્ટનો અર્થ રિટાયરમેન્ટ નહોતો, પરંતુ તે એક અનિવાર્ય બ્રેક હતો. સતત કામના થાક અને પરિવાર સાથે સમય ન વિતાવી શકવાના પસ્તાવાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો.
લોકોને થઈ ગેરસમજ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું, ‘X (ટ્વિટર) પર શબ્દોની મર્યાદા હોય છે, જેમાં મેં બધી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પૂરી જાણકારી લોકો સુધી પહોંચી શકી નહીં. લોકોએ ઘણું બધું ખોટું સમજી લીધું. હું માત્ર બ્રેક લેવા માંગતો હતો. તે સમયે હું ખૂબ જ માનસિક અને શારીરિક થાક અનુભવી રહ્યો હતો. જો તમે તમારા કામને કારણે અંગત પળોનો આનંદ ન માણી શકો, તો સફળતાનો શું ફાયદો?’
‘કામ રાહ જોઈ શકે છે…’
અભિનેતાના જણાવ્યા મુજબ, તેણે તેના પુત્રના મોઢેથી પહેલીવાર ‘પાપા’ શબ્દ સાંભળવાની ક્ષણ ગુમાવી દીધી હતી. આનાથી તેને સમજાયું કે વ્યાવસાયિક સિદ્ધિઓ થોડા સમય માટે છે, પરંતુ પુત્રનું બાળપણ પાછું નહીં આવે. 7 મહિનાના બ્રેક દરમિયાન, તેણે એક પતિ અને પિતા તરીકેની જવાબદારી નિભાવી. તેણે કહ્યું, ‘કામ રાહ જોઈ શકે છે, પરંતુ પરિવાર સાથે વિતાવેલી પળો ક્યારેય પાછી આવતી નથી.’
‘ઓ રોમિયો’માં જોવા મળશે વિક્રાંત
હાલમાં વિક્રાંત વિશાલ ભારદ્વાજની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘ઓ રોમિયો’માં જોવા મળશે. આ મૂવી 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત, તે નેટફ્લિક્સની આગામી સિરીઝ ‘મુસાફિર કેફે’માં પણ નજર આવશે.

