'કદાચ આ એક PR સ્ટ્રેટજી...', વિક્રાંત મેસીના એક્ટિંગ છોડવા પર બોલ્યો કો-સ્ટાર, આમિર સાથે કરી સરખામણી

વિક્રાંત મેસીએ એક્ટિંગ કરિયર લગભગ 2 દાયકા પહેલા શરૂ કર્યું હતું. તે સમયે કોઈએ નહોતું વિચાર્યું કે તે આટલો મોટો સ્ટાર બનશે. કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે મોટો સ્ટાર બન્યાના થોડા સમય પછી, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરશે. વિક્રાંત મેસીએ આ નિર્ણય લીધો છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો છે. આ સિવાય એક્ટરે તેની પાછળનું કારણ શું છે તે પણ જણાવ્યું છે. એક્ટરના કહેવા પ્રમાણે, હવે તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે. તેથી તેણે ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે. આ સમાચારે તેના નજીકના લોકોને પણ ચોંકાવી દીધા છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો: વિક્રાંત મેસીએ ટીવીથી કરી હતી તેના કરિયરની શરૂઆત, એક્ટરે આ શોથી જીત્યા દર્શકોના દિલ
વિક્રાંત મેસી સાથે ફિલ્મ 'હસીન દિલરૂબા'માં કામ કરનાર એક્ટર હર્ષવર્ધન રાણેએ વિક્રાંતની નિવૃત્તિને પીઆર સ્ટંટ ગણાવ્યો હતો. તેણે કહ્યું- "વિક્રાંત સ્પષ્ટ વિચારસરણીનો એક્ટર છે. હું તેના વર્ક એથિક્સની પ્રશંસા કરું છું અને મેં 'હસીન દિલરૂબા' ફિલ્મમાં તેની એક્ટિંગ પ્રોસેસ પણ જોઈ છે. મને આશા છે કે તે કમબેક કરશે અને જો એક્ટિંગ નહીં કરે તો તે આમિર ખાનની જેમ ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં હાથ અજમાવશે. તે આપણા દેશના મોટા આર્ટીસ્ટ છે અને હું અનુમાન કરી રહ્યો છું કે આ એક PR સ્ટ્રેટજી છે અને તેના પર કોઈ ફિલ્મ નિર્માતા દ્વારા આ કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે."
એક્ટરે પોતાની પોસ્ટમાં લખ્યું, "મારા છેલ્લા કેટલાક વર્ષો શાનદાર રહ્યા. તમારા સપોર્ટ બદલ તમારો સૌનો હૃદયપૂર્વક આભાર. પરંતુ, જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, તેમ તેમ મને અનુભવ થઈ રહ્યો છે કે પતિ, પિતા, પુત્ર અને એક એક્ટર તરીકે મારી જાતને સંભાળવાનો અને ઘરે પાછા જવાનો આ સમય છે. હું તમને છેલ્લી વાર વર્ષ 2025માં મળીશ, જ્યાં સુધી યોગ્ય સમય ન આવે. છેલ્લી બે ફિલ્મો અને અગણિત યાદો, બધા માટે આભાર, કાયમ આભારી રહીશ." એક્ટરની છેલ્લી ફિલ્મોની વાત કરીએ તો તે તાજેતરમાં 'સેક્ટર 36' અને 'ધ સાબરમતી રિપોર્ટ' માં જોવા મળ્યો હતો. હાલમાં તે 'યાર જીગરી' અને 'આંખો કી ગુસ્તાખિયાં' જેવા પ્રોજેક્ટનો એક ભાગ છે. જે 2025માં આવશે.

