VIDEO: સુપરસ્ટાર આમિર ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, સિક્યોરિટી એજન્સીઓ થઈ દોડતી!
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે છત્રીસનો આંકડો છે. હવે સલમાન પછી શું આમિર ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે હવે આમિર ખાનને પણ સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા દાવા બાદ ફરી એકવાર મનોરંજન જગત અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ અને કથિત ઓડિયો ક્લિપમાં 'ટાયસન બિશ્નોઈ' નામના શખ્સે દાવો કર્યો છે કે હવે આમિર ખાન તેના નિશાના પર છે. આ વાયરલ પોસ્ટમાં આમિર ખાનને સીધી ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ અને તેને લગતો ઓડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાઓ વધારી દીધી છે.
ધમકી પાછળ 'લવ જિહાદ'નો આરોપ
વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં ધમકી આપવા પાછળના કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં આમિર ખાન પર 'લવ જિહાદ'ના આરોપો લગાવવામાં આવ્યા છે. જેને આધાર બનાવીને બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા આ હેન્ડલે તેને નિશાન બનાવવાની વાત કહી છે.

પોસ્ટમાં શું લખ્યું છે?
જય શ્રી રામ
જય સીતા રામ
હું આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લોરેન્સ બિશ્નોઈ ગેંગ). આ જે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ આપણા દેશમાં લવ જિહાદના નામે આમિર ખાન જેવા લોકો આને પ્રોત્સાહન આપી રહ્યા છે, આપણે આને સહન નહીં કરીએ અને આનો જવાબ ખૂબ જ ટૂંક સમયમાં તેને આપી દેવામાં આવશે. આ વસ્તુ આપણા સનાતન ધર્મમાં અને દેશની વિરુદ્ધ છે. અમારો અમારા ભાઈ-બહેનો અને દેશવાસીઓ સાથે વાદો છે કે જે પણ આ હલકી હરકતને પ્રોત્સાહન આપશે, તેને અમે અમારી રીતે જવાબ આપીશું. આ જે સ્ટારડમના નામે આ વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમના શ્વાસ અમે રૂંધાવી દઈશું.
અને સાથે જ, આ જે શ્રીગંગાનગર, રાજસ્થાનમાં એક માસૂમ બાળકી સાથે ઘૃણાસ્પદ કૃત્ય થયું છે, તેમાં પ્રશાસને ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ કેટલાક રાજકીય લોકો આમાંથી કેટલાક નરાધમોને બચાવી રહ્યા છે. આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે કે જે કોઈ પણ એ માસૂમ બાળકી સાથે જે થયું તેમાં એક ટકા પણ સામેલ છે અને કાયદાથી બચી ગયો છે, તેને તો અમે સજા આપીશું જ. પણ જે નેતાઓ આમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ તાત્કાલિક આમાં દખલગીરી કરવાનું બંધ કરી દે, નહીં તો તમારી પણ એ જ હાલત કરીશું જે આ લોકોની થવાની છે. થોડી માનવતા દાખવો.
અમારા જે 2 ભાઈઓ શહીદ થયા છે, પરવેશ અને હિમાંશુ, તમે હંમેશા અમારા દિલમાં રહેશો અને અમે તમારું બલિદાન વ્યર્થ નહીં જવા દઈએ. દુશ્મનોને જડબાતોડ જવાબ આપીશું. ભગવાન આપ બંને ભાઈઓના આત્માને શાંતિ આપે.
જય શ્રી રામ
આમિર ખાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી
હાલમાં, આમિર ખાન કે તેની ટીમ તરફથી આ વાયરલ પોસ્ટ અને કથિત ઓડિયો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ, સંબંધિત તપાસ એજન્સીઓ કે પોલીસ દ્વારા પણ આ દાવાની પુષ્ટિ કે ખંડન કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને તેની વિરુદ્ધ ફતવો પણ જાહેર થઈ ચૂક્યો છે.
તપાસમાં જોતરાયેલી એજન્સીઓ
આ સંવેદનશીલ મામલાને જોતા મુંબઈ પોલીસ અને સાયબર સેલની ટીમો સક્રિય થઈ ગઈ છે અને આ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમજ ઓડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, GSTV આ વાયરલ થઈ રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો ક્લિપની પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી કે આ વાસ્તવમાં બિશ્નોઈ ગેંગ દ્વારા જ જાહેર કરવામાં આવ્યું છે કે પછી કોઈની ટીખળ છે.

