Sameer Wankhedeને દિલ્હી હાઈકોર્ટનો ફટકો, Shah Rukh Khanના પ્રોડક્શન હાઉસ સામેની ₹2 કરોડની અરજી ફગાવી

આર્યન ખાનની વેબ સિરીઝ 'બેડ્સ ઓફ બોલિવૂડ' સાથે જોડાયેલા 2 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં સમીર વાનખેડેને મોટો ફટકો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને અરજી ફગાવી દીધી છે.
નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સામેનો કેસ
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે IRS અધિકારી અને પૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારી સમીર વાનખેડેને ઝટકો આપતા નેટફ્લિક્સ અને શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ' વિરુદ્ધ દાખલ કરેલી માનહાનિની અરજી ફગાવી દીધી છે. આ મામલો બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના નિર્દેશનમાં બનેલી સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' સાથે જોડાયેલો છે. વાનખેડેનો દાવો હતો કે સિરીઝમાં તેમની મજાક ઉડાવવામાં આવી છે અને આ આધારે તેમણે 2 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી.
જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે ગુરુવારે અધિકાર ક્ષેત્રના આધારે અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે વાનખેડેને સક્ષમ અધિકાર ક્ષેત્ર ધરાવતી કોર્ટમાં જવા માટે જણાવ્યું છે.
કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
અદાલતે જણાવ્યું કે તેમની પાસે આ અરજી પર સુનાવણી કરવાનું અધિકાર ક્ષેત્ર નથી, જેના કારણે આ કેસ અસરકારક રીતે ફગાવી દેવામાં આવ્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી કે વાનખેડે યોગ્ય ફોરમ (અદાલત)માં જવા માટે સ્વતંત્ર છે. યાદ અપાવી દઈએ કે સમીર વાનખેડે 2021માં આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડને કારણે ચર્ચામાં આવ્યા હતા.
અદાલતમાં વકીલો વચ્ચેની દલીલો
કોર્ટે વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની રોકની અરજીમાં બે મુખ્ય પ્રશ્નો નક્કી કર્યા હતા:
1. શું આ કેસની સુનાવણી દિલ્હીમાં થઈ શકે?
2. શું વિવાદિત દ્રશ્ય રચનાત્મક સ્વતંત્રતાની મર્યાદા ઓળંગે છે?
વાનખેડે તરફથી સિનિયર એડવોકેટ જે. સાઈ દીપક હાજર રહ્યા હતા, જ્યારે રેડ ચિલીઝ તરફથી નીરજ કિશન કૌલ અને નેટફ્લિક્સ તરફથી રાજીવ નૈયર હાજર રહ્યા હતા.
સમીર વાનખેડેના આક્ષેપો
વાનખેડેનો આરોપ હતો કે આ સિરીઝે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે વળતરની જે 2 કરોડની રકમ માંગી હતી, તે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરવાની જાહેરાત કરી હતી. તેમની અરજીમાં એક ખાસ દ્રશ્ય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં એક પાત્ર 'સત્યમેવ જયતે' બોલ્યા પછી તરત જ મધ્યમ આંગળી (Middle Finger) બતાવે છે.
રાષ્ટ્રીય સન્માનના અપમાનનો દાવો
વાનખેડેની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'સત્યમેવ જયતે' બોલ્યા બાદ અશ્લીલ ઈશારો કરવો એ 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971' નું ઉલ્લંઘન છે. તેમણે આ સામગ્રીને પૂર્વગ્રહયુક્ત અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી ગણાવી હતી.

