BIG NEWS: અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી જાહેર કરી નિવૃત્તિ

અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ સમાચારથી તેના ચાહકો ચોંકી ગયા છે. અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. જેમાં તેણે કહ્યું કે, તે હવે કોઈપણ પ્લેબેક સિંગિંગ પ્રોજેક્ટ્સ હાથમાં લેશે નહીં.
અરિજીત સિંહે કરી આ પોસ્ટ
અરિજીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, "હેલો, તમારા બધાને નવા વર્ષની શુભકામનાઓ. તમે મને વર્ષોથી જે પ્રેમ આપ્યો છે તે બદલ આભાર. હું બધાને જાહેરાત કરું છું કે હું હવે પ્લેબેક સિંગર તરીકે કોઈ કામ નહીં લઉં. હું તેમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહી છે."
અરિજિત ચાલુ પ્રોજેક્ટ પાર પાડશે, સંગીત બનાવવાનું બંધ નહીં કરે
અરિજિતે લખ્યું કે, "ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે ઘણું નવું શીખતો રહીશ અને મારી રીતે કંઈક નવું કરતો રહીશ. તમારા સહકાર બદલ ફરી એકવાર આભાર. મારે હજુ પણ કેટલાક જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના બાકી છે, તે હું પૂરા કરીશ. તેથી આ વર્ષે કદાચ મારા કેટલાક ગીતો રિલીઝ થશે. સ્પષ્ટતા ખાતર જણાવી દઉં કે, હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું."

સેલિબ્રિટીઝનું રિએક્શન
અરિજિત સિંહની આ જાહેરાત પર સેલિબ્રિટીઝ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રેપર બાદશાહે પોસ્ટ પર કમેન્ટ કરી છે. તો સંગીતકાર અમાલ મલિકે લખ્યું, "મને સમજાતું નથી, પણ હું તમારા નિર્ણયનું સન્માન કરું છું. હું તમારો ચાહક હતો, છું, અને હંમેશા રહીશ."

