VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સિનેમા જગતની હસ્તીઓનું સન્માન; Alka Yagnik અને Mammoottyને મળ્યો 'પદ્મ ભૂષણ'
બીજા પદ્મ એવોર્ડ્સ સન્માન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિનેમા જગતના વધુ કેટલાક કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. અલ્કા યાગ્નિકથી લઈને આર. માધવન અને મમૂટી સુધીના કલાકારો એવોર્ડ લેવા પહોંચ્યા હતા.
સેલેબ્સને મળ્યા પદ્મ એવોર્ડ્સ
બીજા પદ્મ એવોર્ડ્સ સન્માન સમારોહમાં, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સિનેમા, સંગીત, જનસેવા અને કલા જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ અનેક જાણીતી હસ્તીઓને સન્માનિત કરી રહ્યા છે. મનોરંજન ક્ષેત્રે સન્માનિત થનારાઓમાં મમૂટી, અલ્કા યાગ્નિક, આર. માધવન અને અજિત કુમાર સામેલ છે. રાષ્ટ્રપતિએ પ્રથમ સન્માન સમારોહમાં સદ્ગત ધર્મેન્દ્ર, પીઢ અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી અને થિયેટરના દિગ્ગજ કલાકાર અરવિંદ વૈદ્યને સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પદ્મ પુરસ્કાર 2026ના બીજા નાગરિક સન્માન સમારોહ માટે પહોંચ્યા હતા. સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે.
ભારતીય સંગીતમાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ અલ્કા યાગ્નિકને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. દેશના સૌથી પ્રખ્યાત પ્લેબેક સિંગર્સમાંના એક અલ્કા યાગ્નિકે ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અનેક ભારતીય ભાષાઓમાં હજારો ગીતો રેકોર્ડ કર્યા છે. સિંગરની તબિયત થોડી નાદુરસ્ત લાગી રહી હતી અને તેમને પકડીને સ્ટેજ સુધી લાવવા પડ્યા હતા, પરંતુ તેઓ ખૂબ જ સુંદર દેખાતા હતા. તેમણે સ્ટેજ પર આવતાની સાથે જ પીએમ મોદીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા.
મમૂટીને પણ પદ્મ સન્માન
મલયાલમ સુપરસ્ટાર મમૂટીને રાષ્ટ્રપતિએ પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે અનેક ભાષાઓની 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સિનેમા ઉપરાંત, તેઓ અનેક સામાજિક કાર્યોમાં સહયોગ આપવા અને ચેરિટી તેમજ સામુદાયિક કલ્યાણની અનેક પહેલોને સક્રિયપણે ટેકો આપવા માટે પણ જાણીતા છે.
આર. માધવને પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો
અભિનેતા આર. માધવનને પણ પદ્મ સન્માન મળ્યું છે. તેઓ પોતાની સીટ પરથી ઊભા થઈને પીએમ મોદીને મળ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યો હતો. તેમણે ઓમ બિરલા સાથે પણ વાતચીત કરી અને રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ લેવા પહોંચ્યા હતા. માધવનને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.
સતીશ શાહના કઝિને એવોર્ડ સ્વીકાર્યો
વર્ષ 2025માં અવસાન પામેલા જાણીતા અભિનેતા અને કોમેડિયન સતીશ શાહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે. તેમની જગ્યાએ તેમના કઝિન અરવિંદ મમાનિયાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. સતીશ શાહના પત્ની મધુ શાહ છેલ્લા ઘણા વર્ષોથી અલ્ઝાઈમરની બીમારીથી પીડિત હોવાને કારણે સતીશ શાહના કઝિન આ સન્માન લેવા પહોંચ્યા હતા.

