'દાઉદ આતંકવાદી નથી' આ નિવેદન આપ્યા બાદ વિવાદ થતા મમતા કુલકર્ણીએ આપી સ્પષ્ટતા

મમતા કુલકર્ણી ફરી વિવાદોમાં છે. તેણે દાઉદ ઇબ્રાહિમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે તે આતંકવાદી નથી. પોતાના આ નિવેદન પર મમતાની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેણે હવે દાઉદ ઇબ્રાહિમને આતંકવાદી ગણાવ્યો છે.
90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી હવે આધ્યાત્મિક નેતા બની ચૂકી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર આપેલા પોતાના એક નિવેદનને લઈને તે ચર્ચામાં રહી છે. તેણે કહ્યું હતું કે દાઉદે મુંબઈ બોમ્બ ધડાકા કર્યા નથી. તે આતંકવાદી નથી. પરંતુ હવે આ નિવેદન પર તેમણે યુ-ટર્ન લીધો છે.
મમતાનો યુ-ટર્ન
ગુરુવારે ગોરખપુરમાં મીડિયા સાથે વાતચીતમાં મમતાએ સફાઈ આપી. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીને ખોટી રીતે સમજવામાં આવી છે. તે કહે છે- હું ત્યાં વિક્કી ગોસ્વામીની વાત કરી રહી હતી. દાઉદ ઇબ્રાહિમની નહીં. દાઉદ તો વાસ્તવમાં આતંકવાદી હતો. મમતાએ જણાવ્યું કે તે ક્યારેય દાઉદને મળી નથી. તેણે કહ્યું- હાલ રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ જોડાણ નથી. હું સંપૂર્ણ રીતે આધ્યાત્મમાં લીન થઈ ચૂકી છું. હું સનાતન ધર્મની અનુયાયી છું. કોઈપણ પ્રકારના એન્ટી નેશનલ એલિમેન્ટ સાથે સંબંધ રાખવો મારા માટે અસંભવ છે.
મમતાએ શું કહ્યું હતું?
મમતાએ દાઉદને લઈને આપેલા વિવાદિત નિવેદનમાં કહ્યું હતું- મારો દાઉદ સાથે કોઈ લેવડ-દેવડ નથી. કોઈ એકનું નામ જરૂર હતું. પરંતુ તેણે દેશની અંદર કોઈ બોમ્બ બ્લાસ્ટ કે એન્ટી નેશનલ વસ્તુઓ કરી નથી. હું તેની સાથે તો નથી, પરંતુ તે કોઈ આતંકવાદી નથી. તમારે તફાવત સમજવો જોઈએ. તમે જ્યારે દાઉદનું નામ લો છો, જેની સાથે મારું નામ જોડાયેલું છે, તેણે મુંબઈમાં ક્યારેય બોમ્બ બ્લાસ્ટ કર્યો નથી. હું દાઉદને ક્યારેય મળી પણ નથી.
વિવાદોથી ભરપૂર છે વ્યક્તિગત જીવન
મમતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક સમયે તે ઇન્ડસ્ટ્રીની મોટી સ્ટાર હતી. બાજી, ક્રાંતિવીર, ચાઇના ગેટ, સબસે બડા ખિલાડી, કરણ અર્જુન જેવી મૂવીઝમાં તેમણે કામ કર્યું હતું. પોતાની ગ્લેમરસ અદાઓ માટે પણ તે પ્રખ્યાત રહી હતી. કરિયરના પીક પર મમતાએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે જોડાયેલું હતું.
મમતાનું નામ ડ્રગ્સ તસ્કરીમાં સામે આવ્યું હતું. અટકળો હતી કે તેમણે વિક્કી સાથે લગ્ન કર્યા હતા. વિક્કી સાથેના સંબંધને કારણે મમતાનું કરિયર બરબાદ થયું હતું. આ સંબંધને ખાતર તે દેશ છોડીને ચાલી ગઈ હતી. આશરે 25 વર્ષો પછી તે ભારત પરત ફરી છે. તે સંન્યાસ લઈ ચૂકી છે. આ વર્ષે મહાકુંભ દરમિયાન તે લાઇમલાઇટમાં રહી હતી. તેમને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનાવવાને લઈને ઘણો વિવાદ થયો હતો.

