KGFના પ્રખ્યાત ડોનનું નિધન, 'કાંતારા'ના શૂટિંગ સેટ પર આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક

55 વર્ષના કન્નડ અભિનેતા અને આર્ટ ડિરેક્ટર દિનેશ મંગલુરુનું 25 ઓગસ્ટે નિધન થયું. ઉડુપીમાં તેમના ઘરે સવારે 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ છે.
પ્રખ્યાત કન્નડ અભિનેતા અને આર્ટ ડિરેક્ટર દિનેશ મંગલુરુનું 25 ઓગસ્ટે નિધન થયું. તેઓ માત્ર 55 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ઉડુપીમાં તેમના ઘરે સવારે 3:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનના સમાચારથી આખી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. દિનેશના અંતિમ દર્શન માટે તેમનું પાર્થિવ શરીર 26 ઓગસ્ટે સવારે 8 વાગ્યે તેમના બેંગલોરના ઘરે રાખવામાં આવશે અને ત્યારબાદ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દિનેશ મંગલુરુનું નિધન કેવી રીતે થયું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશને ફિલ્મ 'કાંતારા'ના શૂટિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ બેંગલોરમાં લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી હતી અને તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા. દિનેશના નજીકના લોકોએ જણાવ્યું કે ગયા અઠવાડિયે અચાનક તેમની તબિયત બગડી હતી, જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસોમાં જ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. દિનેશના પરિવારમાં પુત્ર પવન, સજ્જન અને પત્ની છે.
દિનેશ મંગલુરુ કોણ હતા?
મંગલુરુના મૂળ નિવાસી દિનેશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી આર્ટ ડિરેક્ટર તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે અભિનયની દુનિયામાં પગલાં માંડ્યા. તેમને 'આ દિનગાલુ'માં સીતારામ શેટ્ટીની ભૂમિકાથી સફળતા મળી, ત્યારબાદ તેમણે 'KGF'માં બોમ્બે ડોનની ભૂમિકા સહિત અનેક પાવરફૂલ રોલ કર્યા, જેણે તેમની લોકપ્રિયતાને વધુ મજબૂત કરી. તેમણે 'રાણા વિક્રમ', 'અંબારી', 'સવારી', 'ઇંતિ નિન્ના બેટી', 'આ ડિંગી' અને 'સ્લમ બાલા' જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. જ્યારે 'પ્રાર્થના', 'તુગલક', 'બેટ્ટાડા જીવા', 'સૂર્ય કાંતિ' અને 'રાવણ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

