થલાપતિ વિજય-બોબી દેઓલની ફિલ્મ 'Jana Nayagan'ને હાઈકોર્ટની ફટકાર, "સર્ટિફિકેટ વગર રિલીઝ ડેટ કેવી રીતે નક્કી કરી?"

'જન નાયગન' તમિલ સુપરસ્ટાર વિજય થલાપતિની છેલ્લી ફિલ્મ છે. તેમની ફિલ્મ આ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં કોઈ ફિલ્મી વાર્તાની જેમ અનેક ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે.
કેવી રીતે ટળી ફિલ્મની રિલીઝ?
9 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડે હજુ સુધી સર્ટિફિકેટ આપ્યું નહોતું. ચાહકો તેમના સુપરસ્ટારને જોવા આતુર હોવાથી આ મામલો ગરમાયો હતો. ફિલ્મના મેકર્સ હાઈકોર્ટ પહોંચ્યા અને ફિલ્મને વહેલી તકે રિલીઝ કરવા માટે અપીલ કરી.
શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ પી.ટી. આશાએ શરૂઆતમાં મેકર્સની તરફેણમાં ચુકાદો આપ્યો અને સેન્સર બોર્ડને આદેશ આપ્યો કે તેઓ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપે.
હાઈકોર્ટે સર્ટિફિકેટ પર રોક કેમ લગાવી?
હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. હાઈકોર્ટે સિંગલ જજના ફેંસલા પર રોક લગાવી દીધી છે. કોર્ટે બીજી સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે મેકર્સે ફિલ્મ વહેલી રિલીઝ કરવા માટે સિસ્ટમ પર દબાણ બનાવ્યું છે.
કોર્ટનું માનવું છે કે સેન્સર બોર્ડને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 2-3 દિવસનો સમય આપવો જોઈએ. જજે મેકર્સને પ્રશ્ન કર્યો કે, "આ ખોટી ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે? સર્ટિફિકેટ વગર તમે રિલીઝની તૈયારી કેવી રીતે કરી શકો? તમે માત્ર એક તારીખ નક્કી કરીને સિસ્ટમ પર દબાણ ન લાવી શકો."
અદાલતે વધુમાં ઉમેર્યું કે, "તમે થોડા દિવસો રાહ જોઈ શકતા હતા. પ્રોડ્યુસર્સે રિલીઝ ડેટ જાહેર કરતા પહેલા વિચારવું જોઈતું હતું. જ્યારે સર્ટિફિકેટ હાથમાં નથી, તો રિલીઝની જાહેરાત કેવી રીતે કરી શકાય? સેન્સર બોર્ડને વિરોધ કરવાની યોગ્ય તક મળવી જોઈતી હતી."
હવે ક્યારે થશે સુનાવણી?
થલપતિ વિજયની આ ફિલ્મ પર હવે આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ થશે. આનો અર્થ એ છે કે મેકર્સ હવે આ ફિલ્મને પોંગલના અઠવાડિયામાં રિલીઝ કરી શકશે નહીં. હવે જોવાનું એ રહેશે કે વિજયની આ છેલ્લી ફિલ્મની સમસ્યા ક્યારે ઉકેલાય છે.

