73 વર્ષીય શકીલ નૂરાનીની ધરપકડ, 40 વર્ષ નાની અભિનેત્રીનો આરોપ; વીડિયો દેખાડીને આચર્યું દુષ્કર્મ

90 અને 2000ના દાયકાની શરૂઆતમાં ફિલ્મો બનાવનારા દિગ્દર્શક શકીલ નૂરાની પોલીસ કસ્ટડીમાં છે. તેની જાતીય શોષણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને તેના સતારા ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે શકીલ નૂરાનીને 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
33 વર્ષીય અભિનેત્રીએ 73 વર્ષીય શકીલ નૂરાની સામે અનેક આરોપો લગાવ્યા છે. માલવાણી પોલીસે દિગ્દર્શકની ધરપકડ કરી છે અને તેની સામે બળાત્કાર અને જાતીય શોષણનો કેસ દાખલ કર્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ ઘટના 2016માં બની હતી, પરંતુ કેસ હમણાં જ નોંધવામાં આવ્યો છે.
અભિનેત્રી 2016માં નૂરાનીને પહેલીવાર મળી હતી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેત્રી 2016માં લોખંડવાલામાં એક એવોર્ડ સમારંભમાં નૂરાનીને પહેલીવાર મળી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે "બડે દિલ વાલા" અને "જોરૂ કા ગુલામ" ના દિગ્દર્શક નૂરાનીએ તેને આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી અને કામ માટે તેનો સંપર્ક કરવા કહ્યું હતું.
નૂરાનીએ તેને તેના મોબાઈલ ફોન પર એક વીડિયો બતાવ્યો હતો
FIRમાં, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે પાછળથી સ્ક્રિપ્ટ વાંચવા માટે માલવણીના ઘરે ગઈ હતી. ફરિયાદ મુજબ, નૂરાનીએ તેને સોફ્ટ ડ્રિંક ઓફર કર્યું હતું, જેના પછી તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી, ત્યારે નૂરાનીએ તેને તેના મોબાઇલ ફોન પર એક વીડિયો બતાવ્યો અને ધમકી આપી હતી કે જો તે પોલીસનો સંપર્ક કરશે અથવા તેના પરિવારને જાણ કરશે તો તે તેને વાયરલ કરશે.
તેને વારંવાર ગર્ભનિરોધક ગોળીઓ આપવામાં આવી હતી
અભિનેત્રીનો આરોપ છે કે નૂરાનીએ તેને ધમકી આપવા અને ઘણી વખત જાતીય હુમલો કરવા માટે કથિત વીડિયોનો ઉપયોગ કર્યો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે જાતીય સંભોગ પછી તેને વારંવાર ગર્ભનિરોધક ગોળીઓ આપવામાં આવી હતી. FIR બાદ, પોલીસે તપાસ શરૂ કરી અને શોધી કાઢ્યું કે નૂરાની સતારા જિલ્લાના મેધા વિસ્તારમાં એક ફાર્મહાઉસમાં રહેતો હતો.
FIR દાખલ થયા પછી તે 40 દિવસ સુધી છુપાયો રહ્યો
માલવાણી પોલીસ અધિકારીએ જણાવ્યું કે FIR દાખલ થયા પછી તે 40 દિવસ સુધી છુપાયો રહ્યો. પોલીસ ટીમે અંધેરીના લોખંડવાલા સ્થિત તેના પુત્રના ઘરની પણ તપાસ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેણે ઉમેર્યું, "ટેક્નિકલ સહાયથી, અમે તેને સતારા જિલ્લાના મેધામાં એક ફાર્મહાઉસમાં શોધી કાઢ્યો. મેધા પોલીસ સ્ટેશનના અમારા સાથીઓએ તેને કસ્ટડીમાં લીધો. ત્યારબાદ, અમારી ટીમે તેને કસ્ટડીમાં લીધો."
નૂરાનીએ 'બડે દિલવાલા' અને 'જોરૂ કા ગુલામ' જેવી ફિલ્મો બનાવી છે
શકીલ નૂરાનીની ધરપકડ બાદ, શકીલ નૂરાનીને શનિવારે માલવાણી પોલીસે બોરીવલી હોલિડે કોર્ટમાં રજૂ કર્યો. નૂરાનીને 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. DCP (ઝોન 2) સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થયા પછી પોલીસ ટીમ માહિતી એકત્રિત કરી રહી છે. નૂરાનીના વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે તેને ખોટી રીતે ફસાવવામાં અઆવ્યો છે અને કેસ ન્યાયાલયમાં હોવાથી વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નૂરાનીની ફિલ્મોમાં "વિષ્ણુ દેવા" (1991, "શ્રીમાન આશિક" (1993), "બડે દિલવાલા" (1999) અને "જોરૂ કા ગુલામ" (2000)નો સમાવેશ થાય છે.
સંજય દત્ત સાથે લાંબા સમયથી ચાલતો વિવાદ
અગાઉ, શકીલ નૂરાની ત્યારે સમાચારમાં હતો જ્યારે મુંબઈની એક કોર્ટે ફિલ્મ નિર્માતાને ધમકી આપવા બદલ સંજય દત્ત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. સંજય દત્તનો શકીલ નૂરાની સાથે લાંબા સમયથી ચાલતો વિવાદ હતો. નૂરાનીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય દત્તે તેમની ફિલ્મ "જાન કી બાઝી" માં કામ કરવા માટે 50 લાખ રૂપિયાની એડવાન્સ ફી લીધી હતી, પરંતુ થોડા દિવસોના શૂટિંગ પછી, સંજય દત્તે આગળના શૂટિંગ માટે તારીખો આપી ન હતી.

