અફેર અને છૂટાછેડાના સમાચારો વચ્ચે ગોવિંદાની પત્નીનું આ દુ:ખ સામે આવ્યું, ગોવિંદા પૂજા પર લાખો ખર્ચ કરવા તૈયાર

ગોવિંદાની પત્ની સુનિતાએ હાલમાં જ પારસ છાબડાના પોડકાસ્ટમાં ગેસ્ટ બની હતી. અહીં સ્ટારપત્નીએ પતિને લઈને મોટા ખુલાસા કર્યા હતા. ગોવિંદાના અફેર અને છૂટાછેડાના સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી. સુનિતાએ ગોવિંદાના અનુયાયીઓને પણ ઠપકો આપ્યો. સુનિતાએ કહ્યું કે, ગોવિંદા તેને એનિમલ શેલ્ટર ખોલવા માટે પૈસા આપતો નથી, પરંતુ પૂજા પર લાખો ખર્ચ કરવા તરત તૈયાર થઈ જાય છે.
તમે જાતે જે પૂજા કરશો તો જ તે ભગવાન સ્વીકારશે
સુનિતા કહે છે, અમારા ઘરમાં એક ગોવિંદાનો પણ પૂજારી છે. તે કહે છે, આ પૂજા માટે મને 2 લાખ રૂપિયા આપો. હું કહું છું કે ગોવિંદાએ જાતે પૂજા કરવી જોઈએ. પંડિત દ્વારા કરાવવામાં આવેલા પૂજા પાઠ કોઈ કામ નહીં આવે. તમે જાતે જે પૂજા કરશો તે જ તે ભગવાન સ્વીકારશે.
પંડિત દ્વારા કરાવવામાં આવતી પૂજા પર વિશ્વાસ નથી
હું પંડિત દ્વારા કરાવવામાં આવતી પૂજા પર વિશ્વાસ નથી કરતી. જો હું દાન કરું છું અથવા કંઈક સારું કરું છું, તો હું તે મારા પોતાના હાથે કરું છું. જેથી તેનું કર્મ મને જ મળે.
હું એક વૃદ્ધાશ્રમ અને પ્રાણીઓ માટે ઘર બનાવવા માંગુ છું
સુનિતાએ જણાવ્યું કે, ગોવિંદાને તેના નજીકના લોકો કાન ભંભેરણી કરે છે અને તેને પાયાવિહોણી સલાહ આપે છે. તે કહે છે, મારી એક ઈચ્છા છે કે હું એક વૃદ્ધાશ્રમ અને પ્રાણીઓ માટે ઘર બનાવું. હું ખાતરી કરીશ કે હું આ બધું મારા પોતાના પૈસાથી કરીશ. તેના માટે હું ગોવિંદા પાસેથી એક પણ રૂપિયો નહીં લઉં. કારણ કે, તે મને પૈસા આપતો નથી, તે તેના મિત્રોને આપે છે.

