અનીત પડ્ડા અને અહાન પાંડેના અફેરની ચર્ચા વચ્ચે, 'સૈયારા'ના અભિનેતાએ કર્યો આ ખુલાસો

'સૈયારા' ફિલ્મથી રાતોરાત ફેમસ થયેલા અનીત પડ્ડા અને અહાન પાંડે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેઓ રિયલ લાઈફમાં ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે, અહાને બિલકૂલ ફિલ્મી ભાષામાં ખુલાસો કરતાં કહ્યું છે કે તે અને અનીત ફક્ત સારા મિત્રો જ છે.
"અમે બંને એકબીજાની કંપની બહુ એન્જોય કરીએ"
અહાને એક વાતચીતમાં કહ્યું હતું કે, તેને અને અનીતને બહુ જ સારું બને છે એ વાત સાચી છે. અમે બંને એકબીજાની કંપની બહુ એન્જોય કરીએ છીએ. પરંતુ, અમારી વચ્ચે રોમાન્ટિક રિલેશનશિપ નથી. અમે બંને એકબીજા સાથે કમ્ફર્ટ અને લાગણી અનુભવીએ છીએ એ સાચું છે પરંતુ કોઈ લાઈફટાઈમ કમીટમેન્ટ નથી.
"કરણ જોહર તરફથી અપાયા હતા આ સંકેત"
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ફિલ્મ સર્જક કરણ જોહર તરફથી સંકેત અપાયા હતા કે અહાન અને અનીત રિયલ લાઈફમાં પણ રિલેશનશિપમાં છે. આમ પણ કરણ જોહર દ્વારા અનેક બોલીવૂડ કપલ્સની પ્રેમ કહાણીઓ ફેન્સ સામે લાવવામાં આવી છે.
ઈબ્રાહિમે પણ એવો જ ખુલાસો કર્યો
બીજી તરફ બોલીવૂડમાં રિલેશનશિપ હોય છતાં પણ સારા મિત્રો હોવાનો ડોળ કરવો એ દાયકાઓ જૂની રીતરસમ છે. સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલીનું શ્વેતા તિવારીની દીકરી પલક સાથે અફેર ચાલતું હોવાની ચર્ચા ચારેબાજુ છે, પરંતુ ઈબ્રાહિમે પણ એવો જ ખુલાસો કર્યો છે કે તે અને પલક માત્ર સારાં મિત્રો છે.

