Career / તમે પણ ટીચર બનવા માંગો છો? તો 12મા અને ગ્રેજ્યુએશન બાદ આ કોર્સમાં મેળવી શકો છો પ્રવેશ

આપણા દેશમાં શિક્ષકને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલમાં સરકારી શિક્ષકની નોકરીને શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સારો પગાર અને રાષ્ટ્રના ભવિષ્ય સાથે જોડાવાની તક આપે છે. તેથી આજે લાખો યુવાનો સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન જુએ છે. જો તમે પણ શિક્ષક બનવાની ઈચ્છા રાખો છો, તો તેના માટે ઘણા બધા કોર્સ ઉપલબ્ધ છે.
હાલમાં આપણા દેશમાં ઘણા બધા કોર્સ ઉપલબ્ધ છે જે શિક્ષક બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. 12મુ ધોરણ કે ગ્રેજ્યુએશન પાસ કર્યા પછી આ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે.
12મા ધોરણ પછીના કોર્સ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 12મા ધોરણ પછી શિક્ષક બનવા માટે એક નવો પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો છે, જેને ઈન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) તરીકે ઓળખવામાં આવે છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી માત્ર ચાર વર્ષમાં ગ્રેજ્યુએશન અને B.Ed. એક સાથે પૂર્ણ કરી શકે છે. આ સિવાય 12મા બાદ 4 વર્ષનો B.El.Ed., ઈન્ટિગ્રેટેડ B.Ed. અને અન્ય પ્રોગ્રામ ઉપલબ્ધ છે.
ગેજ્યુએશન બાદના કોર્સ
જે વિદ્યાર્થીઓ પહેલાથી જ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂક્યા છે તેઓ બે વર્ષના B.Ed., D.El.Ed. અને અન્ય પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકે છે. વધુમાં, વિદ્યાર્થીઓ બે વર્ષના D.El.Ed./D.Ed./નર્સરી ટીચર ટ્રેનિંગ (NTT) પ્રોગ્રામ દ્વારા શિક્ષક બનવા માટેની યોગ્યતા મેળવી શકે છે.
કોર્સ પૂર્ણ કર્યા પછી TET અથવા CTET પાસ કરવી ફરજિયાત
તમને જણાવી દઈએ કે ઉપરોક્ત કોઈપણ પ્રોગ્રામમાં ડિગ્રી અથવા ડિપ્લોમા પ્રાપ્ત કર્યા પછી, તમારે રાજ્ય-સ્તરીય શિક્ષક પાત્રતા કસોટી (TET) અથવા કેન્દ્રીય શિક્ષક પાત્રતા કસોટી (CTET) પાસ કરવી આવશ્યક છે. તે પછી જ તમે શિક્ષકની સરકારી નોકરી માટે અરજી કરી શકો છો.

