VIDEO: વિન્ડફોલ ટેક્સમાં ઘટાડાથી પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્રના નિર્ણયની તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?
Windfall Tax Rates Slashed: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF-વિમાનમાં વપરાતું બળતણ)ના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સ (વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા દર શનિવાર (15મી ઓગસ્ટ)થી જ લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારના આદેશ અનુસાર, પેટ્રોલના નિકાસ પર લાગતી ડ્યુટીને શૂન્ય કરી દેવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ડીઝલના નિકાસ પરની ડ્યુટી પ્રતિ લીટર 25.5 રૂપિયાથી ઘટાડીને 24 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે ડીઝલ પર પ્રતિ લીટર 1.5 રૂપિયાની રાહત આપવામાં આવી છે. જ્યારે પેટ્રોલ નિકાસ પર પહેલાં પ્રતિ લીટર 3.5 રૂપિયા ચાર્જ લાગતો હતો, જેને હવે ઘટાડીને શૂન્ય (0) કરી દેવાયો છે. આ ઉપરાંત, એટીએફ (ATF)ના નિકાસ પર પણ ટેક્સ પ્રતિ લીટર 22 રૂપિયાથી ઘટાડીને 19.5 રૂપિયા કરવામાં આવ્યો છે.
જનતા પર શું અસર થશે?
સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં કરવામાં આવેલા આ ઘટાડાની અસર પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવો (રિટેલ પ્રાઇસ) પર નહીં પડે. આ ટેક્સ મુખ્યત્વે ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ફ્યુઅલની નિકાસ કરતી ઓઇલ કંપનીઓ પર લાગુ પડે છે, તેથી આ નિર્ણાયક પગલાથી માત્ર ઓઈલ નિકાસકાર કંપનીઓને જ રાહત મળશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ભારતે સૌપ્રથમ જુલાઈ 2022માં વિન્ડફોલ ટેક્સ દાખલ કર્યો હતો, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ઓઈલ કંપનીઓને થતા અણધાર્યા નફા (વિન્ડફોલ ગેઇન) પર અંકુશ મેળવી શકાય. બાદમાં તેને હટાવી લેવાયો હતો, પરંતુ માર્ચ 2026માં અમેરિકા-ઈઝરાયલ અને ઇરાન વચ્ચેના તણાવ બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધતા તેને ફરીથી અમલમાં મૂકવો પડ્યો હતો.
કેન્દ્ર સરકાર દર પંદર દિવસે (દર બે અઠવાડિયે) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સરેરાશ કિંમતોના આધારે વિન્ડફોલ ટેક્સ સમીક્ષા કરીને તેમાં સુધારો-વધારો કરતી હોય છે.
અગાઉની સમીક્ષાઓની સ્થિતિ
આ અગાઉ ત્રીજી ઓગસ્ટે યોજાયેલી સમીક્ષામાં સરકારે પેટ્રોલ પરનો ટેક્સ 2.5 રૂપિયાથી વધારીને 3.5 રૂપિયા, ડીઝલ પર 15.5 રૂપિયાથી વધારીને 25.5 રૂપિયા અને ATF પર 14.5 રૂપિયાથી વધારીને 22 રૂપિયા પ્રતિ લીટર કર્યો હતો. જોકે, વર્તમાન સમીક્ષામાં ગ્લોબલ ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને સરકારે નિકાસકારોને ટેક્સમાં કપાત કરીને રાહત આપી છે.

