UPIના નિયમોમાં થયો ફેરફાર, જો ઓનલાઇન પેમેન્ટ કરો છો તો પહેલા જાણી લો આ નવા નિયમ

વર્તમાન સમયમાં UPI એ નાણાકીય વ્યવહાર માટે મોટા પ્રમાણે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી છે. હવે પહેલી નવેમ્બરથી UPIમાં બે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2024માં યોજાયેલી RBI MPCની બેઠકમાં UPI Liteના નિયમોને લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. UPI લાઇટ સંબંધિત બે નવા નિયમો નવેમ્બરથી અમલમાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ નાના ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે ઓટો ટોપ-અપ સુવિધા રજૂ કરી છે. આ સાથે UPI લાઇટ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ પણ વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ- વિક્રમ સંવત 2080માં સોનાએ આપ્યું શાનદાર રિટર્ન, રોકાણકારોએ કરી 32 ટકા સુધીની કમાણી
વધી ગઈ ટ્રાન્ઝેક્શન લિમિટ
ભારતીય રિઝર્વ બેંકે UPI લાઇટ ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો કર્યો છે. પહેલા UPI લાઇટ યુઝર્સ માત્ર 500 રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા. આ સિવાય વોલેટમાં માત્ર 2,000 રૂપિયાનું બેલેન્સ રાખી શકકતા હતા. આરબીઆઈના નિયમો અનુસાર, યુપીઆઈમાં દૈનિક ખર્ચ મર્યાદા 4,000 રૂપિયા છે. હવે RBIએ UPI લાઇટમાં ટ્રાન્ઝેક્શન લિમિટમાં રૂ. 500નો વધારો કર્યો છે. એટલે કે 1,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એકવાર કરી શકાય છે. આ સિવાય UPI Lite વોલેટ બેલેન્સ 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવ્યું છે.
UPI લાઇટમાં નવી સુવિધા
હવે UPI લાઇટમાં બેલેન્સ ઉમેરવાની માથાકૂટ પણ ખતમ થઈ ગઈ છે. આ નિયમ 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. UPI લાઇટમાં ઑટો-ટોપ-અપ સુવિધા શરૂ થઈ ગઈ છે. જો UPI Lite વોલેટમાં બેલેન્સ ખતમ થઈ જાય તો તેને ફરીથી મેન્યુઅલી ઉમેરવું પડશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નો ઉદ્દેશ્ય નવી ઓટો-ટોપ-અપ સુવિધા દ્વારા પેમેન્ટ સિસ્ટમને સરળ બનાવવાનો છે. UPI લાઇટની આ સુવિધા વિશે NPCI દ્વારા 27 ઓગસ્ટ 2024ના રોજ એક સૂચના જારી કરીને આપવામાં આવી હતી.
કેવી રીતે કામ કરશે આ સુવિધા?
જો UPI લાઇટનું બેલેન્સ ચોક્કસ મર્યાદાથી નીચે જાય તો આ ફીચર દ્વારા બેલેન્સ આપમેળે એડ થઈ જશે. યુઝર્સ રિચાર્જની રકમ અને બેલેન્સ મર્યાદા પોતે નક્કી કરશે. આ ફીચર દિવસમાં માત્ર પાંચ વખત જ ટોપ-અપ થશે. NPCIના નોટિફિકેશન મુજબ, UPI Liteની આ સુવિધાનો લાભ લેવા માટે, યુઝર્સે 31 ઓક્ટોબર 2024 સુધીમાં UPI Lite એપ પર આ સુવિધાને ઈનેબલ કરવાની હતી.

