VIDEO: મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાશે! તહેવારો ટાણે જ ખાંડનો ભાવ વધતાં સરકાર લાદશે નિયમો
ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો 15 દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં. આ નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થશે અને 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.
તહેવારોમાં જમાખોરી રોકવા સ્ટોક લિમિટ અડધી કરાઈ
તહેવારોના દિવસોમાં ઘરો ઉપરાંત બિસ્કિટ, મીઠાઈ અને અન્ય ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મોટા પાયે ખાંડની ખરીદી કરે છે. વેપારીઓ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક ભેગો ન કરે અને જમાખોરીના કારણે ભાવ ન વધે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા 30 દિવસ કરી હતી, પરંતુ તેમ છતાં ભાવમાં વધારો ચાલુ રહેતાં હવે આ સમયગાળો ઘટાડીને માત્ર 15 દિવસ કરી દેવાયો છે.
ખાંડના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં ખાંડની કિંમતોમાં આશરે 10 ટકાનો વધારો નોંધાયો છે. ઉદ્યોગ સંગઠનના આંકડા મુજબ, મંગળવારે દેશમાં ખાંડની સરેરાશ એક્સ-મિલ કિંમત ₹5400 થી ₹5500 પ્રતિ ક્વિન્ટલ રહી હતી, જે એક વર્ષ પહેલાં ₹3900 પ્રતિ ક્વિન્ટલ હતી. બીજી તરફ રિટેલ બજારમાં પણ 18 ઓગસ્ટે ખાંડની સરેરાશ કિંમત ₹52.30 પ્રતિ કિલો પહોંચી ગઈ છે, જે ગત વર્ષે આ સમયે ₹46.34 પ્રતિ કિલો હતી. આમ, વાર્ષિક ધોરણે રિટેલ ભાવમાં 13 ટકાનો વધારો થયો છે.
નવા પાક અને ઓછા વરસાદને લીધે ચિંતા
ખાંડની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વખતે શરૂઆતી સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, નવી સિઝનની શરૂઆતમાં 40થી 42 લાખ ટન ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે દેશની સ્થાનિક જરૂરિયાત આશરે 50 લાખ ટન છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ અને સૂકું વાતાવરણ રહેવાને કારણે શેરડીના પાકને પણ અસર પહોંચી છે, જેનાથી આગામી સમયમાં ઉત્પાદન પર અસર પડી શકે છે.
હાલની સિઝનની સ્થિતિ અને સરકારની નજર
હાલની 2025-26ની સિઝનમાં દેશમાં કુલ ખાંડની ઉપલબ્ધતા આશરે 320 લાખ ટન રહેવાનો અંદાજ છે, જેની સામે સ્થાનિક વપરાશ 285 લાખ ટન છે. આશરે 7 લાખ ટન નિકાસ બાદ સિઝનના અંતે 35 લાખ ટન સ્ટોક બચવાની શક્યતા છે. ખાદ્ય મંત્રાલય ખાંડના સ્ટોક પર સતત નજર રાખી રહ્યું છે અને શુગર મિલોને ઓનલાઇન ફોર્મ તથા વેરિફાઇડ ઇમેઇલ આઇડી દ્વારા વેચાણ અને ઉપાડની સાચી માહિતી આપવા આદેશ આપ્યો છે, જેથી દેશમાં ખાંડની ચોક્કસ સ્થિતિ જાણી શકાય.

