TCS: 12,000 કર્મચારીઓની છટણી કરવામાં આવતા રોકાણકારો શા માટે ચિંતિત છે? રોકાણકારો માટે આનો શું અર્થ થાય છે, જેફરીઝે કેમ આપી ચેતવણી?

TCS: ભારતની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ 12000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. જેની અસર કંપનીના શેર પર દેખાઈ રહી છે. રોકાણકારોમાં ગભરાટનું વાતાવરણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ આવું કેમ છે? નવેમ્બર-2022માં જ્યારે માર્ક ઝુકરબર્ગે મેટાના કુલ કર્મચારીઓમાં 13% ઘટાડો એટલે કે લગભગ 13,000 કર્મચારીઓને કાઢી મૂકવાની જાહેરાત કરી, ત્યારે તેની એક અલગ અસર પડી. તે સમયે,રોકાણકારોએ નોકરીમાં કાપની ઉજવણી કરી.
શેર નીચલા સ્તરે ગબડ્યા
ટીસીએસએ એઆઇ આધારિત ટેકનોલોજી અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે વ્યવસાયમાં નબળાઈનો હવાલો આપીને 12000 થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ પછી, કંપનીના શેર 1.7% ઘટ્યા પછી નીચલા સ્તરે આવી ગયા. આ નાણાકીય વર્ષ 2025માં, ટીસીએસના શેરમાં 25% ઘટાડો થયો છે. એટલું જ નહીં, તેની અસર ઇન્ફોસિસ જેવી કંપનીઓના શેર પર પણ જોવા મળી. તો શું આ ભારતના આઇટી ક્ષેત્રની કંપનીઓ માટે સંકટનો સમય છે?
મેટા અને ટીસીએસ છટણીમાં શું બદલાયું
મહામારી દરમિયાન મેટા વધારાની ભરતીમાં ઘટાડો કરી રહ્યું હતું, જ્યારે ટીસીએસ માંગ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
બ્રોકરેજ હાઉસ જેફરીઝની ચેતવણી
ટીસીએસના કર્મચારીઓની છટણીની જાહેરાત પર બ્રોકરેજ હાઉસ જેફરીઝે સ્પષ્ટરૂપથી ચેતવણી ઉચ્ચારી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ટીસીએસ દ્વારા તેના કર્મચારીઓમાં 2 ટકાનો ઘટાડો કરવાના નિર્ણયથી ટૂંકા ગાળામાં પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે અને લાંબા ગાળે વધુ કર્મચારીઓના નોકરી છોડવામાં વૃદ્ધિનું કારણ બની શકે છે. આ સમગ્ર આઇટી ક્ષેત્રમાં માંગમાં ઘટાડો દર્શાવે છે. મોટાભાગની આઇટી કંપનીઓના નવા પ્રોજેક્ટ્સ ખર્ચ ઘટાડવા અને એઆઇ આધારિત પ્રોડક્ટિવિટી પર આધારિત છે. તેથી, જે કંપનીઓ બજારહિસ્સો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે તેઓ આગામી સમયમાં વધુ છટણી કરી શકે છે.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સની હાલત હવે એવી થઈ ગઈ છે કે તે વર્ષ-2025નું સૌથી ખરાબ પ્રદર્શન કરતું ક્ષેત્ર બની ગયું છે. આ ફક્ત એક કંપનીનું સંકટ નથી પરંતુ તે વ્યાપક અર્થમાં આઇટી ક્ષેત્ર પ્રત્યે રોકાણકારોનો અભિગમ બદલાઇ રહ્યો છે.
લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે છે
જેફરીઝ કહે છે કે ટીસીએસને તેના નિર્ણયથી લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે છેલ્લા 3 મહિનામાં કંપનીએ આવા ત્રણ મોટા નિર્ણયો લીધા છે. જેમાં કંપનીએ પહેલા 25 એપ્રિલે કર્મચારીઓના પગાર વધારાને મુલતવી રાખ્યો હતો. ત્યારબાદ 25 જૂને બેન્ચિંગ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. અને હવે તેણે 12000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે.
બ્રોકરેજ કંપનીએ ચેતવણી આપી છે કે ટીસીએસમાં અન્ય કંપનીઓ કરતાં ઓછી છટણીઓ થઈ રહી છે, પરંતુ તાજેતરની જાહેરાત કર્મચારીઓનું મનોબળ ઘટાડી શકે છે, જેના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં લાગતો સમય વધી શકે છે. જો આવી સ્થિતિમાં નોકરી છોડતા કર્મચારીઓની સંખ્યા વધે છે, તો ટીસીએસ ને 2020-22 દરમિયાન કોગ્નિઝન્ટની જેવી સ્થિતિ થઇ હતી તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
એલારાએ રેન્કિંગ ઘટાડ્યું
એલારાએ ટીસીએસનું રેટિંગ બાય ટુ હોલ્ડથી ઘટાડી દીધું છે. બ્રોકરેજ કંપનીએ ટાર્ગેટ ભાવ રૂ. ૩,૯૭૦ થી ઘટાડીને રૂ. ૩,૭૭૦ કર્યો છે. જોકે, તેને હજુ પણ થોડી રિકવરીની અપેક્ષા છે.

