EPFOનો મોટો નિર્ણય:લાખો પ્રાઇવેટ કર્મચારીઓ આવશે EPF અને EPSના દાયરામાં

પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય રિટાયરમેન્ટ ફંડ કવરેજ માટે પગાર મર્યાદા 15,000 પ્રતિ માસથી વધારીને 25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. આ મર્યાદા એક દાયકાથી વધુ સમયથી બદલાઈ ન હતી. નવી મર્યાદા લાગુ થવાથી, પગાર મેળવતા વધુ કર્મચારીઓ અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન કવરેજના વ્યાપમાં આવી જશે. નવી પગાર મર્યાદા ક્યારથી લાગુ થશે, તેનો નિર્ણય કેબિનેટની મંજૂરી પછી કરવામાં આવશે.
15,000થી 25,000 સુધીના કર્મચારીઓ પીએફના ઘેરામાં આવશે
હજી સુધી માત્ર તે કર્મચારીઓ જેમનો બેઝિક પગાર 15,000 પ્રતિ માસ સુધીનો છે, તેમને જ અનિવાર્યપણે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમના વ્યાપમાં રાખવામાં આવે છે. તેનાથી વધુ કમાણી કરનારા કર્મચારીઓ બહાર રહી શકે છે અને એમ્પ્લોયર માટે તેમને તેમાં સામેલ કરવા કાનૂની રીતે જરૂરી નથી. જ્યારે આ મર્યાદા 25,000 થઈ જશે, ત્યારે 15 હજારથી 25 હજાર પ્રતિ માસ કમાનારા કર્મચારીઓ પણ તેના વ્યાપમાં આવી જશે. આ બદલાવથી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે સોશિયલ સિક્યોરિટી કવરેજ ઘણું વધવાની અપેક્ષા છે.
નાણાં મંત્રાલયે EPFO પગાર મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી
નાણાં મંત્રાલયે EPFO ની સેલેરી લિમિટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત હાલની 15,000ની જગ્યાએ 25,000 પ્રતિ માસ સુધીના પગાર વાળા કર્મચારીઓને પીએફ અને પેન્શન યોજનાના વ્યાપમાં લાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ, શરૂઆતમાં આ લિમિટને 30,000 સુધી વધારવા પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ આખરે નાણાં મંત્રાલયે 25,000ની નવી મર્યાદાને મંજૂરી આપી છે. કેબિનેટની મંજૂરી મળ્યા પછી સરકાર તેના લાગુ થવાની તારીખની જાહેરાત કરશે.
નિયમ લાગુ થતા પહેલા કંપનીઓને ટ્રાન્ઝિશન પીરિયડ મળી શકે
કેબિનેટમાંથી મંજૂરી મળ્યા પછી પણ નવો નિયમ તરત લાગુ થવાની સંભાવના નથી. તેનું કારણ એ છે કે કંપનીઓ અને નિયોક્તાઓને તેમની પેરોલ સિસ્ટમ, કમ્પ્લાયન્સ પ્રોસેસ અને બીજા જરૂરી કામોમાં બદલાવ કરવા માટે સમય જોઈશે. તેથી સરકાર નવા નિયમ લાગુ કરતા પહેલા થોડા સમયનો ટ્રાન્ઝિશન પીરિયડ આપી શકે છે.
નવી EPF મર્યાદા 1 એપ્રિલ 2027થી લાગુ થઈ શકે
રિપોર્ટ મુજબ, નવી EPF સેલેરી લિમિટ 1 એપ્રિલ 2027થી લાગુ કરવામાં આવી શકે છે. જોકે, તેની અંતિમ તારીખ કેબિનેટની મંજૂરી અને કંપનીઓની તૈયારીઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે EPFOની સેલેરી લિમિટમાં છેલ્લી વાર સપ્ટેમ્બર 2014માં બદલાવ થયો હતો, જ્યારે તેને 6,500થી વધારીને 15,000 કરવામાં આવી હતી.
સેલેરી લિમિટ વધવાથી સરકાર પર નાણાકીય બોજ વધી શકે
રિપોર્ટ મુજબ, સરકાર જો EPFO ની સેલેરી લિમિટ વધારશે, તો તેનો નાણાકીય બોજ પણ વધી શકે છે. કર્મચારીના પીએફ અને પેન્શન ફંડમાં કંપનીની સાથે-સાથે સરકાર પણ યોગદાન આપે છે. કર્મચારી પેન્શન યોજના (EPS) અંતર્ગત નિયોક્તા બેઝિક પગારના 8.33% અને કેન્દ્ર સરકાર 1.16% નું યોગદાન આપે છે. નાણાકીય વર્ષ 2026-27 માટે સરકારે EPS માટે 11,144 કરોડનું બજેટ રાખ્યું છે.
આ નિયમ 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓને લાગુ પડે છે
આ નિયમ હાલમાં ફક્ત તે કંપનીઓ પર લાગુ થાય છે, જ્યાં 20 કે તેથી વધારે કર્મચારીઓ કામ કરે છે. તેનાથી નાની સંસ્થાઓ ઈચ્છે તો પોતાની મેળે જ EPFO સાથે જોડાઈ શકે છે, પરંતુ તેમના માટે આ જરૂરી નથી. આ ઉપરાંત આ પ્રક્રિયા મુખ્ય રૂપે ઓર્ગેનાઈઝ્ડ પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે છે એટલે કે ઓર્ગેનાઈઝ્ડ સેક્ટર વાળા કર્મચારીઓને આનાથી મોટો ફાયદો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અલગ પેન્શન વ્યવસ્થા હેઠળ આવે છે, તેથી તેમના પર EPS ના નિયમો લાગુ થતા નથી.

