દિલ્હી કોર્ટનો મોટો ચુકાદો; મહિલા પહેલવાનોના યૌનશોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર

ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ પ્રમુખ અને છ વાર લોકસભા સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે રાહત આપી છે. મહિલા કુશ્તીબાજો દ્વારા લગાવાયેલા શારીરિક શોષણના ગંભીર આરોપોના મામલે કોર્ટે સોમવારે મહત્ત્વનો ચુકાદો આપતાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે.
આ ચુકાદો સંભળાવવામાં આવે તે પહેલાં સોમવારે સવારે જ બ્રિજભૂષણ શરણ સિંહ રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તે સમયે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું ફક્ત તે જ સાંભળીશ જે કોર્ટ કહેશે, મારા હાથમાં કશું જ નથી.’
મારી વાત સાચી સાબિત થઈ: બ્રિજભૂષણ શરણ સિંહ
આ ચુકાદા બાદ ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે, ‘જે દિવસે મારા પર આરોપ લાગ્યા હતા, તે જ દિવસે મેં કહ્યું હતું કે જો મારા પરના આરોપો સાબિત થશે તો હું ખુશીથી ફાંસીની સજા પણ સ્વીકારી લઈશ. આજે કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો છે અને મારી વાત સાચી સાબિત થઈ છે. કોર્ટે મને નિર્દોષ મુક્ત કર્યો છે. હવે હું બસ એટલું જ કહીશ કે, જે કંઈ થવાનું હતું તે થઈ ગયું.
જંતર-મંતરથી લઈને વૈશ્વિક સ્તર સુધી ગૂંજ્યો હતો વિરોધ
વર્ષ 2023માં આ આરોપો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઓલિમ્પિક મેડલ વિજેતા અને દેશના ટોચના પહેલવાનો—જેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સામેલ હતા—તેમણે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમની મુખ્ય માગ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવા અને તેમને કુસ્તી સંઘના પદ પરથી હટાવવાની હતી.
આ વિરોધ પ્રદર્શને તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું હતું. નવા સંસદ ભવન તરફ માર્ચ કરતી વખતે દિલ્હી પોલીસે કેટલાક રમતવીરોની અટકાયત કરી હતી, જેની વૈશ્વિક રમતગમત સંસ્થાઓ અને રમતપ્રેમીઓ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.
વિનેશ ફોગાટ અને સગીર વયની પહેલવાનના કેસનો ઘટનાક્રમ
આ ચુકાદાના થોડા મહિના પહેલા જ ઓલિમ્પિયન વિનેશ ફોગાટે સાર્વજનિક રીતે ખુલાસો કર્યો હતો કે તે પોતે આ કેસની 6 ફરિયાદીઓમાંથી એક હતી. વિનેશ ફોગાટે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, જાતીય સતામણી પીડિતોની ઓળખ ગુપ્ત રાખવા અંગેની સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તેણે શરૂઆતમાં પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી.

