NEWS AFTERNOON: જે.ડી. વેન્સના 'પાકિસ્તાન પ્રેમ' પર અમેરિકામાં બબાલ, અન્ના હઝારેની ફરી ભૂખ હડતાળની ચેતવણી, ગુજરાતના વરસાદમાં હજી 84 ટકાની મોટી ઘટ!
જેડી વેન્સના 'પાકિસ્તાન પ્રેમ' પર અમેરિકામાં બબાલ
"અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના 'પાકિસ્તાન પ્રેમ'ના નિવેદન પર સાંસદો ભડક્યા છે. સીનેટર રિક સ્કૉટ અને ટિમ શીહીએ વેન્સને આડે હાથ લેતા કહ્યું કે, પાકિસ્તાનનો આતંકીઓને આશરો આપવાનો જૂનો ઇતિહાસ છે. ઓસામા બિન લાદેનને છુપાવનાર પાકિસ્તાન પર ક્યારેય ભરોસો ન કરી શકાય."
ભારતીય મૂળની અપર્ણા રાજે વોશિંગ્ટનમાં ઇતિહાસ રચ્યો!
"ભારતીય મૂળની 32 વર્ષીય અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણી જીતી લીધી છે. 52 ટકા મતો મેળવીને તેઓ કાઉન્સિલના સૌથી યુવાન સભ્ય બનવા તરફ અગ્રેસર છે. ભાડૂઆતોના હક અને મોંઘવારીના મુદ્દે લડીને તેમણે આ શાનદાર જીત મેળવી છે."
અન્ના હઝારેની ફરી ભૂખ હડતાળની ચેતવણી!
"સોશિયલ એક્ટિવિસ્ટ અન્ના હઝારેએ મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. RTI કાયદામાં થયેલા ફેરફારો અને ફી વધારાને ગેરકાનૂની ગણાવી તેમણે મુખ્યમંત્રી ફડણવીસને પત્ર લખ્યો છે. જો આ બદલાવ પાછા નહીં ખેંચાય, તો તેઓ 5 જુલાઈથી રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ પર બેસશે."
ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું, વરસાદમાં 84 ટકાની મોટી ઘટ!
"ગુજરાતમાં ચોમાસાની રાહ લાંબી થઈ છે અને હાલ વરસાદમાં 84 ટકાની ઘટ નોંધાઈ છે. જોકે, પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ 46 તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે, હવે સાનુકૂળ પવન ફૂંકાતા આગામી 25 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે."
સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન!
"ગીરમાં એક જ સપ્તાહમાં 8થી વધુ સિંહોના રહસ્યમય મોત થતાં મામલો PMO સુધી પહોંચ્યો છે. 'કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ'ની આશંકા વચ્ચે ગાંધીનગર મોકલાયેલા લેબ રિપોર્ટ મુદ્દે સરકારે મૌન સેવ્યું છે. વન વભાગ પોતાની પોલ ખુલવાના ડરે વિગતો છુપાવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે."
અમદાવાદના ગરીબ નગરમાં ગોઝારો અકસ્માત
"અમદાવાદના ગરીબ નગર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર ચલાવતી વખતે ચાલકને અચાનક ખેંચ આવતાં હેરિયર કાર ભીડ પર ફરી વળી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 3થી 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે."
મોરબીમાં ખેડૂતોના આંદોલનમાં 3 લોકોની તબિયત લથડી!
"મોરબીના જેતપરમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા બે મહિલા અને એક પુરુષની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા છે. આ બિનરાજકીય આંદોલનને હવે ગામોગામના સરપંચો અને જનતાનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે."
સુરેન્દ્રનગર એસપીનું પોલીસકર્મીઓને અલ્ટીમેટમ!
"સુરેન્દ્રનગરમાં તાજેતરમાં 443 પોલીસકર્મીઓની બદલી બાદ પણ હાજર ન થનારા કર્મચારીઓ પર એસપીએ લાલ આંખ કરી છે. સિટી, વઢવાણ અને જોરાવરનગર સહિતના 36 પોલીસકર્મીઓને હાજર થવા કડક આદેશ કરાયો છે, નહીં તો ખાતાકીય પગલાં લેવાશે."

