VIDEO: MORNING BULLETIN / પાકિસ્તાનમાં હવે તખ્તાપલટની તૈયારી? વિપક્ષી સાંસદોના પ્રદર્શન સામે સંત સમાજનો વિરોધ, મોબાઈલની લતે લીધો 13 વર્ષીય વિદ્યાર્થીનો ભોગ
પાકિસ્તાનમાં હવે તખ્તાપલટની તૈયારી?
પાકિસ્તાનમાં શહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો તેજ બની છે. રાજધાની ઈસ્લામાબાદ કન્ટેનરોથી સીલ કરાઈ છે. સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના ઈશારે ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સૌથી મોટા કૌભાંડમાં જજ, રાજકારણીઓ અને બેંકરો સંડોવાયા હોવાનો નકવીનો દાવો છે. મુનીરને સર્વશક્તિમાન બનાવવાની આ કવાયતથી નવાઝ શરીફની ઊંઘ હરામ થઈ છે.
પીઓકેમાં જૂનથી અત્યાર સુધીમાં 90 લોકોના મોત
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર POKમાં ચૂંટણી ખોટી રીતે યોજી હોવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન ગેરકાયદેસર રીતે POK પર પોતાના નિયંત્રણને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ચૂંટણીઓ હત્યાઓ, દમન અને વિરોધને છુપાવી શકતી નથી. જૂન મહિનાથી ઓછામાં ઓછા ૯૦ નાગરિકોના મોત થયા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવા વિનંતી કરી.
વિપક્ષી સાંસદોના પ્રદર્શન સામે સંત સમાજનો વિરોધ
દિલ્હીમાં સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોના ભગવા વસ્ત્રો સાથેના વિરોધને સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે સનાતન ધર્મ અને સાધુ-સંતોના અપમાન સાથે જોડીને વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે ભાવનગરના સાધુ-સંતો મોટી સંખ્યામાં એકત્ર થયા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતુ. સંત સમાજે સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોબાઈલની લતે લીધો 13 વર્ષીય વિદ્યાર્થીનો ભોગ
સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં મોબાઈલની ઘાતક લતે એક ૧૩ વર્ષીય માસૂમ બાળકનો ભોગ લીધો છે. મૂળ ઓડિશાના પરિવારનો એકનો એક દિકરો પાલિકાની શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતો હતો. મોબાઇલ જોતા દીકરાને માતા-પિતાએ હોમવર્ક કરવાનું કહેતા તેને માઠું લાગતા તેણે પંખે લટકીને જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે.
કોડીનારના છારા ગામે દરિયામાં ચાર યુવકો ડૂબ્યા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મંગળવારે દરિયામાં નાહવા ગયેલા ચાર યુવકો ડૂબી ગયા હતા. સ્થાનિક માછીમારોએ તરત જ બચાવ કાર્ય હાથ ધરીને બે યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તો બાlકીના બે યુવકોની શોધખોળ ચાલુ રાખવામાં આવી.
સ્થાનિકોને રોજગારી આપવા કમિશનરનો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે AMC કમિશનરે તમામ સરકારી વિભાગોને સત્તાવાર પત્ર પાઠવીને આઉટસોર્સિંગ સ્ટાફની ભરતી માટે ખાસ સૂચનાઓ આપી છે. હવેથી દરેક વિભાગે પોતાના હસ્તકની એજન્સીઓને એ વાતની તાકીદ કરવાની રહેશે કે તેઓ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી સ્થાનિક રોજગાર કચેરી પાસેથી યાદી મેળવીને જ કરે.
વિકાસ આયોજન મુદ્દે AAP સભ્યોનો વિરોધ
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના 16મા નાણાપંચ હેઠળના 10 ટકા વિકાસ આયોજનને લઈને રાજકીય વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના 13 જિલ્લા પંચાયત સભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમના વિકાસ કાર્યોના સૂચનોને આયોજનમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે માંગણીઓનો હકારાત્મક નિકાલ નહીં આવે તો જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવાની ચીમકી આપી છે.
આજનું રાશિફળ
આજે વૃષભ, કર્ક, કન્યા અને મકર રાશિના જાતકો માટે દિવસ ખાસ શુભ અને પ્રગતિદાયક રહેશે. મેષ, મિથુન, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોએ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું અને સ્વાસ્થ્ય તેમજ ખર્ચ બાબતે સાવધાની રાખવી. જ્યારે સિંહ, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્યથી સારો રહેશે.
આજનું પંચાંગ
પંચાંગ અનુસાર આજે અષાઢ વદ અષ્ઠમી (કાલાષ્ટમી) છે. ભરણી નક્ષત્ર અને ગંડ યોગના સંયોગને કારણે ભગવાન શિવ તથા ભૈરવની ઉપાસના, જપ-તપ અને આધ્યાત્મિક સાધના માટે દિવસ વિશેષ શુભ માનવામાં આવે છે. મહત્વના નવા કાર્યો માટે બપોરનું અભિજિત મુહૂર્ત અનુકૂળ ગણાય છે, જ્યારે રાહુકાળ દરમિયાન શુભ કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે.
આજનો ઇતિહાસ
5 ઓગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને કલમ 35Aના પ્રાવધાનોને દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ સાથે જ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન કરીને તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.
સુંદર વિચાર સાથે કરો દિવસની સકારાત્મક શરૂઆત
"દરેક સવાર નવી શરૂઆતનો સંદેશ લઈને આવે છે, તેને ઉત્સાહથી સ્વીકારો."

